ગુજરાતમાં છાશવારે અકસ્માત થયાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં 2ના મોત થયા છે.
જામનગરના ફલ્લા ગામ નજીક અકસ્માતમાં બેના મોત
ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત
અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લિનરનું ઘટનાસ્થળે મોત
જામનગરનાં ફલ્લા ગામ નજીક ગંભીર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. જેમાં ટ્રકચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યાં છે. ફલ્લા ગામ નજીક રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રક ડિવાઈડર કૂદી બસ સ્ટેન્ડમાં ઘૂસી જતા અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લિનરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જો કે, આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસનો કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
એકાદ દિવસ અગાઉ ઘટેલી અકસ્માતની ઘટનાઓ
વરજાંગ જાળીયાના પાટીયા નજીક અકસ્માતમાં એકનું મોત થયું હતું
ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ ઉપલેટાના વરજાંગ જાળીયાના પાટીયા નજીક બોલેરો અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં મોટરસાયકલ ચાલકનું મોત નિપજ્યું હતું. મળતી વિગત અનુસાર, ઉપલેટાથી પોરબંદર જતા નેશનલ હાઈવે ઉપર વરજાંગ જાળીયાના પાટીયા નજીક બોલેરો કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટરસાયકલ ચાલકને ઈજા થતા તેઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું.
લુણાવાડા-મોડાસા હાઇવે પર અકસ્માતમાં 2ના મોત નિપજ્યા હતા
એ સિવાય તાજેતરમાં જ મહિસાગરના લુણાવાડા-મોડાસા હાઇવે પર પણ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઈક સવાર સામસામે ટકરાતા અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા. મહિસાગર નદીના બ્રિજ પર આ ઘટના ઘટી હતી. જે મામલે લુણાવાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સાતપાટી માર્ગ પર અકસ્માતમાં એક બાઈકચાલકનું મૃત્યુ થયું હતું
આ ઉપરાંત વલસાડના ઉમરગામ અને મહારાષ્ટ્ર બોર્ડર નજીક પણ ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાતપાટી માર્ગ પર અકસ્માતમાં એક બાઈકચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. શાળાના બાળકો લઈને જતી સ્કૂલવાન પલટી મારી હતી. સ્કૂલવાને બાઈકને અડફેટે લીધા બાદ સ્કૂલવાન વીજપોલ સાથે અથડાઈ. જ્યાર બાદ વાન પલટી મારી ગઇ હતી. જેમાં એક બાઈકચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. જેના CCTV ફુટેજ પણ સામે આવ્યા હતા.