કેરળમાં કોરોનાના હાહાકારની વચ્ચે નિપાહ વાયરસે દસ્તક દીધી છે. કોઝિકોડમાં નિપાહ વાયરસને કારણે 12 વર્ષના બાળકનું મોત થયું છે.
કેરળમાં કોરોનાના હાહાકારની વચ્ચે નિપાહ વાયરસની એન્ટ્રી
કોઝિકોડમાં નિપાહને કારણે 12 વર્ષના બાળકનું મોત
કેન્દ્ર સરકારે કેરળમાં ટીમ મોકલી
મૃતક બાળકના સંપર્કો શોધાઈ રહ્યાં છે
બે લોકોને નિપાહનો ચેપ લાગ્યો
આરોગ્ય પ્રધાન વીના જ્યોર્જે જણાવ્યું હતું કે રાજ્યમાં બીજા લોકોને પણ નિપાહનો ચેપ લાગ્યો છે તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા છે તથા તેમના ટ્રેસિંગ સંપર્કો શોધાઈ રહ્યાં છે. બાળકના મોત બાદ વહીવટીતંત્રે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી અને બાળકના સંપર્કમાં આવેલા લોકોની તાત્કાલિક તપાસ કરવામાં આવી હતી.
૨૦ વ્યક્તિઓ હાઈ રિસ્ક કેટેગરીમાં
આરોગ્ય પ્રધાન વીના જ્યોર્જે જણાવ્યું હતું કે કોઝિકોડ જિલ્લામાં એક બાળકને નિપાહ વાયરસના લક્ષણો હોવાનું નિદાન થયા બાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. તેમણે કહ્યું અમે 188 પ્રાથમિક સંપર્કોની ઓળખ કરી છે. જેમાંથી ૨૦ વ્યક્તિઓ હાઈ રિસ્ક કેટેગરીમાં છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે બાળકની ટ્રાવેલ હિસ્ટ્રી પણ બહાર પાડવામાં આવશે જેથી લોકોને ખબર પડી શકે કે તે ક્યાં ગયો હતો અને કોના કોના સંપર્કમાં આવ્યો હતો. તેમણે લોકોને અપીલ કરી હતી કે લોકો તેમની તપાસ માટે અધિકારીઓનો સંપર્ક કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, બાળક ઉપરાંત અન્ય 2 લોકોને પણ નિપાહ વાયરસનો ચેપ લાગ્યો હોવાનું નિદાન થયું છે.
ટ્રેસિંગ અને અન્ય પગલાં લેવાઈ રહ્યાં છે-આરોગ્ય મંત્રી
તેમણે કહ્યું કે રાજ્યમાં નિપાહ વાયરસનો ચેપ ન ફેલાય તે માટે સરકારે ટીમો બનાવી છે. તેને રોકવા માટે સંપર્ક ટ્રેસિંગ અને અન્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે વાયરસ વિશે ગભરાશો નહીં પરંતુ ચેપના આ સમયગાળામાં સાવચેત રહો. બાળકના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇનની કડક ચેતવણી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે કેરળ એક ટીમ મોકલી
દરમિયાન નિપાહ વાયરસનો કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે કેરળ એક ટીમ મોકલી છે. આ ટીમ રાજ્યના અધિકારીઓને તકનીકી સહાય પૂરી પાડશે. સાથે જ કેન્દ્ર સરકારે રાજ્યને જાહેર આરોગ્યના પગલાં લેવાની સલાહ પણ આપી છે. કેન્દ્રએ નિર્દેશ આપ્યો છે કે, છેલ્લા ૧૨ દિવસમાં રાજ્યમાં પીડિતાના સંપર્કમાં આવતા લોકોને શોધી કાઢવા જોઈએ અને જિલ્લા કલેક્ટરે આવા લોકોના નમૂના એકત્રિત કરવા જોઈએ અને તેમની ચકાસણી કરાવી લેવી જોઈએ.