વલસાડમાં ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાઈ થતાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત
વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર સતર્ક, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન
બિપોરજોય વાવાઝોડું 24 કલાકમાં પ્રચંડ રૂપ ધારણ કરશે. જેને લઈ 11થી 14 જૂન સુધી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. આ તરફ અત્યારથી ગુજરાતમાં સંભવિત વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. આ તરફ વલસાડમાં ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાઈ થતાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા છે. આ સાથે ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
વલસાડમાં ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાઈ
બિપોરજોય વાવાઝોડાને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો છે. નારગોલના દરિયા કિનારે ભારે પવનની શરૂઆત થવાની વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દવા અપીલ કરાઇ છે. આ દરમિયાન વલસાડના બેચર રોડ પર મહાકાય વૃક્ષ ભારે પવનને લઈ તૂટી પડ્યું છે. વૃક્ષ પડતા બાઇક પર સવાર પરિવાર પર ઘાયલ થયો છે. આજે રસ્તા પરથી બાઇક પર પસાર થઈ રહેલા પરિવાર પર વૃક્ષ પડતાં બેથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. વૃક્ષ પડતા જ સ્થાનિકો દોડી આવ્યા અને બાઇક સવાર ઇજાગ્રસ્ત પરિવારને બહાર કાઢ્યા હતા.
વાવાઝોડાની આગાહીને પગલે જામનગરનું તંત્ર સતર્ક
બિપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે જામનગરના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં ઉદ્ભવીત કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સતર્ક છે. આ સાથે ઉચ્ચ અધિકારીઓ દરિયા કિનારા વિસ્તારની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મહત્વનું છે કે, વાવાઝોડું નજીક આવતા જામનગરના દરિયા કિનારે કરંટ જોવા મળ્યો છે. આ સાથે દરિયા કિનારે પવનની ગતિમાં પણ વધારો થયો છે.
કોસ્ટ ગાર્ડ દ્વારા આઉટ રીચ પ્રોગ્રામ
કોસ્ટ ગાર્ડ દ્વારા ચક્રવાત બિપોરજોયને લઈ આઉટ રીચ પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેમાં દરિયામાં માછીમારોને ન નીકળવા આઉટ રીચ પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેને લઈ દરિયામાં રહેલી વહાણોને કોસ્ટ ગાર્ડ દ્વારા માહિતી પહોંચાડાઈ છે. કોસ્ટ ગાર્ડ જહાજ, વિમાન અને રડાર દ્વારા જહાજોને માહિતી મોકલાઈ છે.
બિપોરજોય વાવાઝોડાને લઈ સુરત તંત્ર એલર્ટ
સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જેને લઈ આજ મંત્રી મુકેશ પટેલ અને MLA સંદીપ દેસાઈએ સુવાલી બીચની મુલાકાત કરી હતી. જેમાં ગામવાસીઓને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા.
સંભવિત વાવાઝોડાની આગાહીને મંત્રી મુકેશ પટેલે કહ્યું કે, તમામ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે, NDRFની ટીમને સ્ટેન્ડબાય કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, ગામના લોકો માટે રહેવાથી લઈ જમવા સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડું પોરબંદરથી હાલ 680 કિલોમીટર દૂર છે. જેને લઈ દરિયા ખેડતા માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. રોરો ફેરીને પણ બે દિવસ માટે બંધ કરાવી દેવામાં આવી છે. તમામ ધારાસભ્યો,તલાટીઓ પણ સતત નજર રાખી રહ્યા છે. આ સાથે તમામ કર્મચારી-અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.
સાવચેતીના ભાગરૂપે બીચ બંધ કરાયા
આ તરફ બિપોરજોય વાવાઝોડાને લઈને સાવચેતીના ભાગરૂપે ડુમ્મસ અને સુવાલી બીચ બંધ કરાયા છે. સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પડ્યું છે. જેમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે કોઈ પણ વ્યક્તિને દરિયા નજીક ન જવાની સૂચના અપાઈ છે. આ સાથે બીચ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે.
બિપોરજોય વાવાઝોડાને લઈને કચ્છનું તંત્ર એલર્ટ
બિપોરજોય વાવાઝોડાને લઈને કચ્છનું વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં છે. સંભવિત વાવાઝોડાની સ્થિતિ સામે તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે. કચ્છ કલેક્ટરે અધિકારીઓ તેમજ કર્મચારીઓને આદેશ આપ્યા છે. આ સાથે અધિકારીઓને હેડ ક્વાર્ટર પર જ રહેવાની સૂચના આપી છે. દિશા બદલાતા વાવાઝોડું જખૌ તરફ ફંટાયું છે.
વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર પણ બન્યું એલર્ટ
વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર બિપરજોય વાવાઝોડાની આગાહીને પગલે એલર્ટ બન્યું છે. જિલ્લાના 70 કિમીના દરિયા કિનારા પર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની નજર છે. પર્યટકો માટે તિથલનો દરિયો આજથી 14 જૂન સુધી બંધ કરાયો છે. આ સાથે દરિયા કિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આગામી સમયમાં વલસાડના દરિયામાં પવન ફૂંકાવવાની શક્યતા છે. દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદની પણ આગાહી કરાઇ હોવાથી જિલ્લાના દરિયા કિનારે આવેલા 28 ગામોને એલર્ટ કરાયા છે.