વલસાડના વીરક્ષેત્ર ગામમાં બે દિવસના વાસી ભાત ખાધા બાદ પરિવારના 6 સભ્યોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. જેમાં બે બાળકીના મોત નિપજ્યાં છે.
વલસાડ કપરાડાના વીરક્ષેત્ર ગામમાં ફૂડ પોઇઝનિંગની ઘટના
પરિવારના 6 સભ્યોએ 2 દિવસના વાસી ભાત ખાધા હતા
પરિવારની 2 બાળકીઓના મોત, અન્ય 4 સારવાર હેઠળ
વલસાડના વીરક્ષેત્ર ગામમાં ફૂડ પોઇઝનિંગનો બનાવ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ફૂડ પોઇઝનિંગની અસરને લઇને બે બાળકોના મોત નિપજતા ગામમાં માતમ છવાયો છે. વધુમાં હજુ પણ એક જ પરિવારના ચાર લોકો સારવાર હેઠળ છે આ ઘટનાને લઇને આરોગ્ય તંત્ર દોડતું થયું છે. વાસી ભાત ખાધા બાદ પરિવારને ઝેરી અસર થઈ હોવાનું સામે આવ્યું છે.
6 સભ્યોને ફૂડ પોઈઝનિંગ
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર કપરાડાના વીરક્ષેત્ર ગામમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બની છે. એક જ પરિવારના 6 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. કામવેરી ફળિયાના એક પરિવારના 6 સભ્યોએ 2 દિવસના વાસી ભાત ભાત અને કરચલાનું શાક આરોગ્યું હતું, ત્યારબાદ તમામની તબિયત એકાએક બગડી હતી. જેની જાણ થતાં સમગ્ર મામલે તમામ પરિવારજનોને સી.એચ.સી સુથારપાડા સીએચસી ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ત્રણ વર્ષીય બાળકી અને છ વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બે બાળકોને સારવાર કારગત ન નિવડતા બાળકોએ હોસ્પિટલ બિછાને સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
બે બાળકીના મોતને પગલે નાના એવા ગામમાં કાળો કલ્પાંત ફેલાયો
એક જ પરિવારની 2 બાળકીઓના મોત બાદ હજુ પણ અન્ય 4 લોકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. બે બાળકીના મોતને પગલે નાના એવા ગામમાં કાળો કલ્પાંત ફેલાયો છે.