શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા ભાઇપુરામાં ગઇ કાલે મોડી રાતે માત્ર 30 હજાર રૂપિયાની લેતી-દેતીના મામલે બે યુવકોની ઘાતકી હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મોડી રાતે ખેલાયેલા આ ખૂની ખેલમાં માતા-પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયાં છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
રૂપિયાની લેવડદેવડમાં કરી હત્યા
બેમાંથી એકેય મિત્ર ન બચ્યો
ભાઈઓની નગર ભાઈપુરમાં જ ખુની ખેલ
રૂપિયાની લેવડદેવડના મામલે મિત્રએ મિત્રની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાઇપુરામાં આવેલ બાબુભાઇની ચાલીમાં રહેતા સુરેશ સોનવણેએ તેના મિત્ર દિનેશને છ મહિના પહેલાં 30 હજાર રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. સુરેશને રૂપિયાની જરૂર હોવાથી તે દિનેશ પાસે અવારનવાર રૂપિયા માગતો હતો. દિનેશ રૂપિયા આપવાના બદલે સુરેશને વાયદા કરતો હતો અને યેનકેન રીતે તેણે તેના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.
સૂરેશે દિનેશ ઉપર કર્યો હૂમલો
સુરેશની ઉઘરાણીથી કંટાળી ગયેલ દિનેશ તેની સાથે ઝઘડો કરવા માટે તેના ઘરે ગયો હતો, જ્યાં સુરેશે હુમલો કરતાં દિનેશ ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું મોત થયું હતું. દિનેશનું મોત થતાં તેના કાકા દામુ અને ફોઇનો દીકરો મંગલ ઉશ્કેરાયા હતા અને સીધા સુરેશના ઘરે તલવાર અને ચપ્પુ લઇને પહોંચી ગયા હતા.
સૂરેશ ઉપર દામુ અને મંગલ તુટી પડ્યા
સુરેશને જોતાંની સાથે દામુ અને મંગલે તેના પર તલવાર અને ચપ્પા વડે હુમલો કરી દીધો હતો. સુરેશ પર આડેધડ તલવાર અને ચપ્પાના ઘા ઝીંકાતાં તેની પત્ની મોસુબહેન અને પુત્ર સચીન છોડાવવા માટે વચ્ચે પડ્યાં હતાં, જ્યાં તેમને પણ તલવાર અને ચપ્પાના ઘા વાગતાં ગંભીર ઇજાઓ થઇ હતી. સચીનને માથામાં તલવારનો ઘા વાગ્યો હતો જ્યારે મોસુબહેનને પેટમાં ચપ્પાનો ઘા વાગ્યો હતો. સુરેશ, મોસુબહેન અને સચીનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં સુરેશનું ટુંકી સારવાર બાદ મોત થયું હતું.
બેમાંથી એકેય મિત્ર ન બચ્યો
દિનેશના ભાઇ મહેશ પવાર (રહે. પંજાબી તાળાવાળાની ચાલી, ભાઇપુરા, ખોખરા)એ સુરેશ સોનવણે વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં કરી છે જ્યારે મોસુબહેને દામુ અને મંગલ વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં કરી છે. ઘટનાની જાણ ખોખરા પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરીને સામસામે ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે તપાસને કરી તેજ
પોલીસે આ મામલે મંગલ અને દામુને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે જ્યારે સુરેશ અને દિનેશની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે. ખોખરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે. ઝાલાએ જણાવ્યું છે કે સુરેશે આપેલા રૂપિયા દિનેશે પરત નહીં કરતાં અવારનવાર બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. બન્ને જણા એક બીજાના મિત્ર હતા, જેથી ગઇ કાલે દિનેશ સુરેશના ઘરે રૂપિયાના મામલે બબાલ કરવા માટે ગયો હતો, જ્યાં સુરેશે તેના પર હુમલો કર્યો હતો. દિનેશનું મોત થતાં તેનો બદલો લેવા માટે દામુ અને મંગલ ગયા, જ્યાં સુરેશ અને તેની પત્ની પર હુમલો કર્યો હતો.
ભાઈઓની નગર ભાઈપુરમાં જ ખુની ખેલ
ઉલ્લેખનીય છે કે હાટકેશ્વર વિસ્તારમાં આવેલ ભાઇપુરાને ભાઇઓની નગરી તરીકે ઓળખવામાં આવે છે, જે પહેલાંથી ગુનાઇત પ્રવૃત્તિઓના કારણે વિવાદોમાં રહેલું છે. ભાઇપુરામાં હત્યાના અનેક બનાવ બન્યા છે ત્યારે હત્યાની કોશિશ-મારામારીના બનાવોની સંખ્યાબંધ ફરિયાદો પણ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.