જમ્મુમાં એરફોર્સના એરબેઝ પર ડ્રોન દ્વારા વિસ્ફોટકો નીચે ફેંકાયા પછી, સૈન્ય મથકો ઉપર ડ્રોન જોવાની પ્રક્રિયા અટકી રહી નથી.
જમ્મૂમાં ફરી એકવાર જોવા મળ્યા સંદિગ્ધ ડ્રોન
સવારે 4.40 અને 4.50 મિનિટે કાલૂચકમાં જોવા મળ્યા ડ્રોન
જમ્મૂ એરફોર્સથી 7 થી 10 કિમીના અંતરે જોવા મળ્યા ડ્રોન
આજે વહેલી સવારે જમ્મુના કાલુચક અને કુંજવાનીમાં બે ડ્રોન નજરે પડ્યા છે. સુરક્ષા દળો આ અંગે સજાગ છે. જો કે, આ ઘટના અંગેની હજી વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.
ગઈકાલે પણ જોવા મળ્યું હતું ડ્રોન
સોમવારે સૈન્યના જવાનોએ રત્નુચક-કાલુચક સ્ટેશન ઉપર ઉડતા બે ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું, જે બાદમાં ગુમ થઈ ગયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક ડ્રોન રવિવારે મોડી રાત્રે 12: 45 વાગ્યે અને બીજું ડ્રોન બપોરે 2:40 વાગ્યે જોવા મળ્યું હતો. સૈનિકોએ ગોળીબાર કર્યા બાદ તેઓ ભાગી ગયા હતા. 2002 માં અહીં એક આતંકી હુમલો થયો હતો, જેમાં 10 બાળકો સહિત 31 લોકો માર્યા ગયા હતા.
NIA એ કરી રહી છે તપાસ
મંગળવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ જમ્મુ એરપોર્ટ સંકુલમાં સ્થિત એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલાની તપાસ હાથ ધરી છે. ગૃહમંત્રાલયે રવિવારે વહેલી તકે ભારતીય વાયુસેના સ્ટેશન પર તેના પહેલા પ્રકારના આતંકી હુમલાની તપાસ એનઆઈએને સોંપવાનો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયના આદેશ મુજબ એનઆઈએએ જણાવ્યું છે કે તેણે 27 જૂનના રોજ સત્વારી પોલીસ સ્ટેશનમાં ફરી કેસ નોંધ્યો છે.
એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું કે એનઆઈએ જમ્મુમાં વિસ્ફોટક પદાર્થ અધિનિયમ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ), 120 બી (ગુનાહિત કાવતરું) ની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
PM મોદીએ યોજી હાઈ લેવલ બેઠક
પ્રધાનમંત્રી મોદીએ ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે બેઠક કરી છે. જમ્મુ કાશ્મીરમાં થયેલા ડ્રોન હુમલાના બે દિવસ બાદ પ્રધાનમંત્રીએ હાઈ લેવલની બેઠક બોલાવી. સૂત્રોના જણાવ્યાનુસાર, ડ્રોન હુમલાની સામે કડક કાર્યવાહી કરવાના મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ ચર્ચા કરાઈ હોવાની શક્યતા છે.
ગઈકાલે જમ્મુમાં સતત ત્રીજા દિવસે મિલિટરી સ્ટેશનની અંદર ડ્રોન દેખાયું
ત્રીજી એક ચોંકાવનારી ઘટનામાં જમ્મુના એરફોર્સ સ્ટેશન સતવારીમાં સતત ત્રીજા દિવસે ડ્રોન દેખાયું હતું જે પછી તમામ એજન્સીઓને એલર્ટ મોડ પર મૂકી દેવાઈ હતી.તથા નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવાયું હતું. મંગળવારે સવારે ત્રમ વાર ડ્રોનને લશ્કરી વિસ્તારમાં જોવામાં આવ્યું હતું.
જમ્મુમાં ભારતીય વાયુ સેના સ્ટેશન પર થયેલા બે ડ્રોન હુમલાના એક દિવસ બાદ ભારતે આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઉઠાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે કહ્યું કે સૈન્ય ઠેકાણાઓ પર થતા ડ્રોનના ઉપયોગને ગંભીરતાથી લેવામાં આવે નહીં તો ભવિષ્યમાં તે મોટો ખતરો સાબિત થઈ શકે છે.
ડ્રોનના ઉપયોગ પર નિયંત્રણ લગાવવું જોઈએ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની તરફથી કહેવામાં આવ્યું કે સીમા પર હથિયારોની તસ્કરી માટે ડ્રોનનો ઉપયોગ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે. આતંરી ગતિવિધિઓને અંજામ આપવા માટે ડ્રોન હથિયારની જેમ ઉપયોગમાં લેવામાં આવે છે જે વાત હવે ગંભીરતાથી લેવી જોઈએ. જો આ વાતને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેની પર નિયંત્રણ લાવવું મુશ્કેલ બનશે.