સુરતના પાંડેસરાના વડોદ ગામ નજીક પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં કોમર્શિયલ લિફ્ટ તૂટ્યાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં 2 લોકોના મોત નિપજ્યા છે.
અમદાવાદ બાદ હવે સુરતમાં મોટી દુર્ઘટના
વડોદ ગામ નજીક લિફ્ટ તૂટતા 2ના મોત
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
અમદાવાદ બાદ હવે સુરતમાં પણ લિફ્ટ તૂટ્યાની ઘટના સામે આવી છે. જેમાં 2 લોકોના મોત નિપજ્યાં છે. શહેરના પાંડેસરા વિસ્તારના વડોદ ગામ નજીક પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં કોમર્શિયલ લિફ્ટ તૂટતા 2 લોકોના મોત થયા છે. જોકે આ ઘટનાની તુરંત પોલીસને જાણ થતા જ પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બંને કામદારો 14માં માળેથી નીચે પટકાતા તેઓના મોત નિપજ્યા
વધુમાં જણાવી દઇએ કે, પાંડેસરામાં લિફ્ટના કામકાજ દરમિયાન બે કામદારો 14માં માળેથી નીચે પટકાતા તેઓના મોત થયા છે. પાંડેસરાના વડોદ ગામ નજીક પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં કામ કરનારા 2 શ્રમિકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ, બંને કામદારો મહારાષ્ટ્રના નંદુરબારના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દુર્ઘટનાની કેટલીક તસવીરો પણ સામે આવી છે કે જેમાં જોઇ શકાય છે કે તેમાં લિફ્ટનું કામકાજ ચાલી રહ્યું છે.
જાણો કઇ રીતે ઘટી હતી સમગ્ર દુર્ઘટના?
સુરતમાં એક નિર્માણાધીન બિલ્ડીંગમાં કુલ ત્રણ યુવકો 14માં માળે કામ કરી રહ્યાં હતા. ત્રણ શ્રમિકો લિફ્ટના એન્ગલ લગાવવાનું કામ કરી રહ્યાં હતા. કુલ ત્રણ યુવકો એકસાથે કામગીરી કરી રહ્યાં હતા. ત્યારે આ કામગીરી દરમ્યાન એક યુવકનું સંતુલન ખોરવાતા તેને બચાવવા જતા બીજો યુવક પણ તેની સાથે નીચે પટકાયો. આથી બંને યુવકોના મોત નિપજ્યાં. આ મૃતક યુવકોના નામ આકાશ બોરસે અને નિલેશ પાટીલ છે. જોકે આ શ્રમિકો કોઈપણ પ્રકારની સેફ્ટી વિના કામગીરી કરી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, આ ઘટનાની જાણ થતા જ બંને યુવકોના પરિવારજનો અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
તાજેતરમાં જ અમદાવાદમાં લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત થયા હતા
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પણ બુધવારના રોજ આ જ પ્રકારે એક ઘટના ઘટી હતી. જેમાં લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત નિપજ્યા હતા. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક એડોર એસ્પાયર-2 બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મૃત્યુ થયા હતા. જે મામલે બિલ્ડરને સાઇટ ક્લોઝર નોટિસ પણ ફટકારાઇ હતી. આ ઘટનામાં પોલીસે 3 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી હતી. પોલીસે 3 કોન્ટ્રાકટરો વિરુદ્ધ સદોષ મનુષ્ય વધનો ગુનો નોંધીને તેઓની ધરપકડ કરી હતી. તદુપરાંત મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા વળતર પણ ચૂકવાશે કે જેની વસૂલાત બિલ્ડર પાસેથી જ કરાશે.
તમામ શ્રમિકો રોજગારી મેળવવા અમદાવાદ આવ્યા હતા
એસ્પાયર-2 બિલ્ડિંગના અકસ્માતમાં જે 7 શ્રમિકોના મૃત્યુ થયા હતા તેમાના 4 પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વાવ ગામના વતની હતા અને બે મૃતકો દેવગઢ બારીયા તાલુકાના વિરોલ ગામના વતની હતા. આ તમામ મૃતક શ્રમિકો કન્સ્ટ્રક્શનના કામમાં રોજગારી મેળવવા અમદાવાદ આવ્યા હતા. આ ઘટનાને પગલે અમદાવાદ મનપાની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
જાણો શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદમાં ગઇકાલે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 નામની બાંધકામ સાઈટ પર 13માં માળેથી સ્લેબ તૂટી પડતાં આઠ શ્રમિકો નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સાત મજૂરોને કાળ આંબી ગયો હતો તો એકને ગંભીર ઈજા પહોંચી હતી. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, બિલ્ડિંગના 13મા માળે સ્લેબ પર લિફ્ટ બનાવવા માટેનું કામ આઠ શ્રમિકો કરી રહ્યાં હતા. આ દરમિયાન ભારે વજનને કારણે આ દુર્ઘટના ઘટી હતી. જેમાં લિફ્ટ તૂટતાં જ આઠેય શ્રમિકો એકસાથે નીચે પટકાયા હતા. શ્રમિકો માટે કામ કરવા દરમિયાન 8મા માળે નેટ પણ બાંધવામાં આવી હતી. આથી શ્રમિકો 8માં માળે આવેલી નેટમાં પણ પડ્યા હતા, પરંતુ ભારે વજનના કારણે નેટ પણ તૂટી ગઇ હતી. આથી નેટ તૂટતાં જ 8મા માળેથી શ્રમિકો ધડામ દઇને નીચે પટકાયા હતા. એમાં 2 શ્રમિક ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યા હતા, જ્યારે 6 શ્રમિક બેઝમેન્ટમાં પડ્યા હતા.