કુબેરનગરમાંથી ગીતાબેન ચાવડાની જીતની સાથે કોંગ્રેસના અગાઉ જીતેલા 25 કોર્પોરેટરમાં એક ઓછા થતાં તેનું સંખ્યાબળ ઘટીને 24 થયું છે.
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે. શહેરના 48 વોર્ડ પૈકી 38 વોર્ડમાં ભાજપની પેનલ જીતી છે. જોકે કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતતા ભાજપની છાવણીમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. પરંતુ ગીતાબા ચાવડાની હારને મામલે ભાજપે ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરતા ગઈકાલે રાતે ચૂંટણીપંચ દ્વારા આ અંગે તપાસ હાથ ધરીને ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કર્યા છે.
કુબેરનગર વોર્ડમાં મતગણતરી બાદ કોંગ્રેસના ઊર્મિલા પરમાર, કામિની ઝા, જગદીશ મોહનાની અને નિકુલસિંહ તોમરને ચૂંટણીપંચ દ્વારા વિજેતા જાહેર કરાયા હતા. આ વોર્ડની મતગણના દરમિયાન ભાજપ અને કોંગ્રેસ આ બંને પરંપરાગત રાજકીય પક્ષો વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. જોકે કોંગ્રેસના જગદીશ મોહનાનીને 13,353 મત અને ભાજપનાં ગીતાબા ચાવડાને 9,875 મત મળતા આ પરિણામને ભાજપે ચૂંટણીપંચમાં પડકાર્યું હતું.
મતગણતરીના દિવસે નવમાં રાઉન્ડમાં મત ગણવામાં આવ્યા નહોતા એટલે ગીતાબા ચાવડાની હાર બતાવાઈ હતી. તેવી ભાજપની રજૂઆત હતી. આ બાબતે ચૂંટણીપંચ દ્વારા તપાસ કરાતાં ભાજપની રજૂઆત માન્ય રખાઈ છે. અને ગઈકાલે રાતે ગીતાબા ચાવડાને ચૂંટણીપંચે વિજેતા જાહેર કર્યાં હતાં.
હવે કુબેરનગરમાં કોંગ્રેસની પેનલ તૂટી છે અને ઊર્મિલા પરમાર, કામિની ઝા અને નિકુલસિંહ તોમર જ ચૂંટણી જંગ જીત્યા છે. જોકે આ બેઠક પરના હાર-જીતના સમીકરણ બદલાતાં મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપના કુલ 160 કોર્પોરેટર થયા છે. જ્યારે કોંગ્રેસના અગાઉ જીતેલા જાહેર થયેલા 25 કોર્પોરેટરમાં એક ઓછા થતાં તેનું સંખ્યાબળ ઘટીને 24 થયું છે. જ્યારે AIMIM’ના સાત કોર્પોરેટર અને લાંભામાં એક અપક્ષ કોર્પોરેટર કાળુભાઈ ભરવાડની જીત થઈ છે.
દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષનંુ નેતાપદ લઘુમતી સમાજના કોર્પોરેટરને આપવાની માગણી જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કરી છે. તેઓ કહે છે કે ૨૪માંથી ૧૯ કોર્પોરેટર લઘુમતી સમાજના છે.