અયોધ્યા જમીન ખરીદી વિવાદ પર રામ મંદિર ટ્રસ્ટે પ્રધાનમંત્રી કાર્યાલય અને સંઘને રિપોર્ટ મોકલાવ્યો છે. રિપોર્ટમાં જમીન કૌભાંડના આરોપોને રાજકીય ષડયંત્ર ગણાવ્યાં છે.
અયોધ્યામાં જમીન ખરીદી વિવાદનો મામલો
રામ મંદિર ટ્રસ્ટે PMO અને સંઘને મોકલાવ્યો રિપોર્ટ
જમીન કૌભાંડના આરોપોને રાજકીય કાવતરું ગણાવ્યું
આરએસએસ પણ એક્શનમાં ટ્રસ્ટ પાસેથી રિપોર્ટ માંગ્યો
જમીન કૌભાંડના આરોપો રાજકીય ષડયંત્ર
ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું કે રામમંદિર નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રને આ વિવાદ અંગે બધું વિસ્તારથી જણાવી દેવાયું છે. ટ્રસ્ટ વતી રિપોર્ટમાં એવું જણાવાયું છે કે જમીનની ખરીદીમાં તમામ નીતિ નિયમોનું પાલન કરાયું છે. કોઈ પણ પ્રકારની અનિયમિતા થઈ નથી. રાજકીય કારણોસર કેટલાક લોકો જમીન ખરીદીના માધ્યમથી ટ્રસ્ટને વિવાદ સાથે જોડવાની કોશિશ કરી રહ્યાં છે.
જમીન ખરીદીમાં તમામ નિયમોનું પાલન કરાયું-અંસારી
રામ મંદિર ટ્રસ્ટને બાગ બિજેસની જમીનનું વેચાણ કરનાર પ્રોપર્ટી ડીલર સુલતાન અંસારીએ કહ્યું કે જમીન ખરીદીમાં તમામ નિયમોનું પાલન કરાયું છે. રાજકીય દળોના આરોપ પાયાવિહોણા છે. અંસારીએ કહ્યું કે આ જમીનની ડીલ દશ મિનિટમાં થઈ નથી. સૌથી પહેલા આ એગ્રિમેન્ટ 2011 ની સાલમાં કરાયો હતો. તે સમયના કરારમાં મારા પિતા અને હરીશ કુમાર પાઠક હતા. ત્યાર પછી કુલ ચાર વાર એગ્રિમેન્ટમાં સુધારા વધારા થયા છે.
અયોધ્યામાં જમીન ખરીદી વિવાદનો મામલો વેગ પકડતો જાય છે. યુપીની રાજનીતિમાં ઘમાસાણ મચેલું છે. સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી સતત ભાજપને ઘેરવાની કોશિશ કરી રહી છે. આ વિવાદનો પડઘો પડતાં ભાજપ પણ એક્શનમાં આવ્યો છે. અમિત શાહ અને જેપી નડ્ડાની ઉપરાંત રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘે પણ શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટ પાસેથી જમીન વિવાદનો રિપોર્ટ માંગ્યો છે.
રામજન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવે આપ્યો ખુલાસો
જોકે રામજન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ અને વિશ્વ હિંદુ પરીષદના નેતા ચંપતરાયે જમીન ખરીદી પર પહેલેથી સત્તાવાર ખુલાસો આપી દીધો છે. તેમણે કહ્યું હતું કે આ જમીનની નોંધણી ઘણા વર્ષો પહેલા કરાવવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપ ગેરમાર્ગે દોરનારા છે અને રાજકીય બદલાની ભાવનાથી આરોપ કરાયા છે.
વિપક્ષે ચંપત રાય પર લગાવ્યો ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સંજય સિંહ અને અયોધ્યાથી સમાજવાદી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય પવન પાંડેએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના મહાસચિવ ચંપત રાય પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે રવિવારે આરોપ લગાવ્યો કે ભગવાન રામના નામ પર દાન લઈને ઘોટાળો કરવામાં આવી રહ્યો છે. સિંહે લખનૈઉમાં પ્રેસ કોન્ફરન્સ વખતે આરોપ લગાવ્યો કે ટ્ર્સટના મહાસચિવ ચંપત રાયે સંસ્થાના સદસ્ય અનિલ મિશ્રાની મદદથી બે કરોડ રૂપિયાની કિંમતની જમીન 18 કરોડ રૂપિયામાં ખરીદી હતી.