પંજાબ બાદ હવે રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ મુખ્યમંત્રી બદલવાનું કોંગ્રેસ હાઈકમાન્ડે મન બનાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
કોંગ્રેસ રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રી બદલવાની તૈયારીમાં
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ બન્ને રાજ્યોના સીએમ બદલાશે
સચિન પાયલટને દિલ્હી બોલાવાયા, રાહુલ ગાંધી કરી લાંબી ચર્ચા
છત્તીસગઢના મુખ્યમંત્રી પણ બદલાય તેવી શક્યતા
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ બદલાય તેવી પૂરી સંભાવના છે. આ માટે કોંગ્રેસ પ્લાન પણ તૈયાર કરી લીધો હોવાનું જાણવા મળે છે.
કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રદેશના નેતાઓના સંપર્કમાં છે અને પાર્ટી યોગ્ય સમયની પ્રતિક્ષામાં છે.
કોંગ્રેસ પાર્ટી 70 વર્ષના ગેહલોતને બદલે 44 વર્ષના સચિન પાયલટ પર દાવ લગાડવા ઈચ્છુક હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યાં છે.
સચિન પાયલટને દિલ્હી દરબારનું તેડું આવ્યું
કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશના નેતાઓનું મન જાણવા સચિન પાયલટને દિલ્હી બોલાવ્યા છે. દિલ્હી આવીને સચિન પાયલટે રાહુલ ગાંધી સાથે વિસ્તારથી ચર્ચા કરી હતી. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે રાજસ્થાનાં ફેરફારની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી લેવાઈ છે. ટૂંક સમયમાં તેની પર અમલ પણ શરુ થઈ જશે.
સૂત્રોએ એવું પણ જણાવ્યું કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરીને પાયલટના વિશ્વાસપાત્ર ધારાસભ્યોને સામેલ કરશે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ મુખ્યમંત્રી બદલાય તેવી શક્યતા છે.
છત્તીસગઢમાં પણ સિંહદેવને કમાન સોંપાય તેવી શક્યતા
છત્તીસગઢમાં પણ ભુપેશ બઘેલની જગ્યાએ ટીએસ સિંહદેવને મુખ્યમંત્રીની કમાન મળવાની સંભાવના છે. ત્યાં ઘણા સમયથી બઘેલ અને સિંહદેવ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. બઘેલ અને સિંહદેવે પોતપોતાના ધારાસભ્યો પણ દિલ્હી દરબારમાં રજૂ કર્યાં હતા.
2024 ની લોકસભાની ચૂંટણી જીતવી કોંગ્રેસ માટે જરુરી
પ્રદેશ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે રાજસ્થાનમાં પાર્ટીનો મુખ્ય મુકાબલો ભાજપ સાથે છે. તેથી 2024 ની વિધાનસભાની ચૂંટણી જીતવી કોંગ્રેસ માટે ખૂબ જરુરી છે. કારણ કે 2018 માં સરકાર બન્યા છતાં પણ 2019 માં લોકસભાની તમામ 25 બેઠકો પર કોંગ્રેસનો પરાજય થયો હતો. તેથી પાર્ટીને ઓછામાં ઓછા દોઢ વર્ષ પહેલા ફેરફાર કરી દેવો પડશે. પાયલટ પણ ઘણા લાંબા સમયથી મુખ્યમંત્રી પદની દાવેદારી કરી રહ્યાં છે. તેથી રાજસ્થાનમાં હવે નેતૃત્વ પરિવર્તન નક્કી છે.