અંગદાન મામલે ગુજરાત સરકાર દ્વારા અનેક જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેને ધારી સફળતા મળતી હોય તેમ મેં મહિનામાં 19 લોકોના અંગદાન થકી 58 લોકોને નવજીવન મળ્યું છે.
મેં મહિનામા અંગદાન ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધી
ગુજરાતના ઇતિહાસમાં અત્યારસુધીનું સૌથી મોટુ અંગદાન
રાજ્યના અંગદાનની સેવાકીય પ્રવૃતિને વેગવંતી બની
ગુજરાત સ્થાપના દિવસના મહિનામા એટલે કે મે મહિનામા ગુજરાતમાં 19 અંગદાન હોવાનું સામે આવ્યું છે. આ અંગદાન થકી 58 લોકોને નવજીવન મળ્યું હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ગુજરાતે ઐતિહાસિક સિધ્ધી હાંસલ કરી છે. ગુજરાતમાં આ મે મહિનામાં કુલ 19 અંગદાન થયા છે જેમાંથી મળેલા 58 અંગોનું સફળતાપુર્વક જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
58 અંગોમાં કિડની 34, લીવર – 18, હ્રદય – 3 નો સમાવેશ
કોઇપણ એક મહિનામાં રાજ્યભરમાં થયેલા આ અંગદાનની પ્રવૃતિ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ છે તેમ મંત્રી પટેલે ઉમેર્યું હતુ. અંગદાન જાગૃતિ માટે સરકાર અને સામાજિક સંસ્થા દ્વારા અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. જેના ભાગરુપે લોકોમાં પણ જબરી જાગૃતી જોવા મળી રહી છે. એક મહિનામાં મળેલા 58 અંગોમાં કિડની 34, લીવર – 18, હ્રદય – 3, ફેફસાની અને હાથની એક-એક જોડ, અને નાના આંતરડાનો સમાવેશ થાય છે.
અંગદાનની સેવાકીય પ્રવૃતિમાં પ્રાણ ફુંક્યો
મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજય સરકારના SOTTO એકમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાજેતરમાં જ મળેલ એવોર્ડ થકી રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા તમામ લોકોને પ્રોત્સાહન મળ્યું છે. આ બહુમાન એ રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિમાં પ્રાણ ફુંક્યો છે.