કચ્છઃ ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં બાળકોના થયેલા મોત મામલે રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ ભૂજની મુલાકાત લેશે. હોસ્પિટલની મુલાકાત બાદ આરોગ્ય વિભાગની ટીમ એક રિપોર્ટ તૈયાર કરશે. તે રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે.
મહત્વનું છે કે હોસ્પિટલમાં છેલ્લા 17 દિવસમાં કુલ 19 બાળકોના મોત નિપજ્યા છે. અદાણી સંચાલીત આ હોસ્પિટલમાં જે રીતે બાળકોના મોત નિપજી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ ક્યા કારણોસર બાળકોના મોત થઈ રહા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરશે.
ઉલ્લેખનીય છે કે જી.કે. જનરલ હોસ્પિટલ અવાર નવાર વિવાદોથી ઘેરાય છે. ત્યારે હાલ નવજાત શિશુઓ સહિતના બાળકો મૃત્યુ પામવાની ઘટનાને લઇને હોસ્પિટલ ચર્ચાનું કેન્દ્ર બનેલી છે. તેવામાં આજે કોંગ્રેસના આગેવાનો તેમજ વાલીઓએ મેનેજમેન્ટને ઉગ્ર રજૂઆત કરી હતી.
આ હોસ્પિટલની સેવાઓ બાબતે અનેક સવાલો ઉઠતા રહે છે ત્યારે કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા હતા કે રાત્રિના ડોકટરો અને હોસ્પિટલની બેદરકારીને કારણે 3 બાળકોના મોત થયા હતા.
છેલ્લા ર૪ કલાકમાં ૭ બાળકો મોતને ભેટ્યા છે તો 17 દિવસમાં કુલ 19 બાળકોના મોત થયું હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ પ્રકારે બાળકોના થતા મોતને કારણે આજે કોંગી આગેવાન સહિત બાળકોના વાલીઓએ મેનેજમેન્ટને ઉગ્ર રજૂઆત કરી હતી.
હોસ્પિટલના મેનેજમેન્ટે તેમના પર થયેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. તો બીજી તરફ એવી પણ વિગતો મળી હતી કે જી.કે. હોસ્પિટલના એનઆઈસીયુમાં દાખલ રરથી ર૩ બાળકો પૈકી અનેક બાળકોને વાલીઓ બીકના માર્યા લઈ ગયા હતા.