18 વર્ષ....સમયનો કોઈ આ નાનકડો ગાળો નથી, ઘણું બધું બદલાય જાય છે આટલા સમયગાળામાં....પરંતુ જો કશુંક મેળવવાની કે કોઈને મળવાની તમે ખરા દિલથી રાહ જોઈ રહ્યા હો તો આટલો કાળખંડ બહું મોટો નથી.
પાસપોર્ટ ખોવાની સજા 18 વર્ષ જેલ
પાકિસ્તાની જેલમાં રહી હસીના બેગમ
ભારત પરત ફરીને કહ્યું ભારત સ્વર્ગ છે
જો કે, માત્ર સાંભળીને આ વાત નહી સમજાય. આ માટે પોતાનાને પામવા જેણે ક્ષણ ક્ષણ ગણી હોય અને પળ પળ વેદના સહન કરી હોય તેના વિશે જાણવું પડશે. જાણીએ તે હસીના બેગમને કે જેનું 18 વર્ષે પરિવાર સાથે મિલન થયું છે.
મહારાષ્ટ્રના ઓરંગાબાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર આવી રહેલી ટ્રેનમાં એક એવી વ્યક્તિ છે જે તેના પરિવારને 18 વર્ષ બાદ મળી રહી છે. આ વૃદ્ધ મહિલા હસીના બેગમ છે, જે અનેક વર્ષો બાદ પોતાના ઘરે પરત ફરી રહી છે. ભારતની ધરતી પર પગ મુકીને હસીના બેગમ જે બોલ્યા તે બાદ પાકિસ્તાનનો અસલી ચહેરો સામે આવી ગયો છે.
હસીના બેગમ હતા પાકિસ્તાનની જેલમાં
દરેકના મનમાં એવો સવાલ થતો હશે કે હસીના બેગમ કેમ 18 વર્ષ બાદ ભારત આવ્યા છે. હકીકત તે છે કે હસીના બેગમે પોતાની જવાની, પોતાના જીવનના 18 વર્ષ પાકિસ્તાનની જેલમાં વિતાવી દીધા છે. આટલા લાંબા સમયગાળા બાદ હસીના બેગમ વતનની ધરતી પર આવ્યા અને રાહતનો શ્વાસ લીધો.
કેમ હતા પાકિસ્તાનની જેલમાં
2002માં હસીના બેગમ પાકિસ્તાન તેના પતિના સંબંધીઓને મળવા લાહોર ગયા હતા પરંતુ તેમને ત્યાં પતિના સગા વ્હાલા ન મળ્યા અને કોઇ જ સહારો પણ ન મળ્યો. મુસિબતના પહાડ તો ત્યારે તૂટી પડ્યા જ્યારે હસીના બેગમનો પાસપોર્ટ ખોવાઇ ગયો. જે બાદ તેમને પાકિસ્તાનની જેલમાં 18 વર્ષ વિતાવવા પડ્યા હતા.
આશાનું કિરણ દેખાયુ
હસીના બેગમે પાકિસ્તાન કોર્ટમાં અરજી કરી અને ન્યાયની માગણી કરી ત્યારે તેમને આશાનું કિરણ દેખાયું. ખુબ જ લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થયા બાદ પાકિસ્તાનની કોર્ટે હસીના બેગમને ભારત પાછી આવવાની મંજૂરી આપી હતી. ખુબ જ કપરા સમય બાદ પાકિસ્તાનની કેદમાંથી મુક્ત થઇને ઔરંગાબાદની ધરતી પર તેમણે પગલા પાડ્યા હતા. દેશમાં આવ્યા બાદ તેમણે કહ્યું કે ભારત સ્વર્ગ છે.