કોરોના વાયરસના કહેરમાં સૌથી વધારે હાલાકી મજૂર વર્ગને થઇ રહી છે. દેશભરમાં લોકડાઉનની જાહેરાત બાદથી જ મજૂર વર્ગની પરિસ્થિતિ કફોડ બની છે. પોતાના વતન જવા માટે વલખા મારતા મજૂરોમાં ઘણા લોકોતો સેંકડો કિમી ચાલીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા રહ્યા હતા. આ સિવાય જે લોકો હજુ પણ ફસાયેલા છે તે વતન જવા માટે વિવિધ હથકંડા અપનાવી રહ્યા હોય તેવો વીડિયો સામે આવ્યો છે.
ઈન્દોર હાઈવે પર પકડાયા શ્રમિકો
કૉન્ક્રિટ મિક્સરમાં જ સવાર હતા 18 મજૂરો
લોકડાઉનના કારણે ઉત્તરપ્રદેશ જઈ રહ્યા હતા મજૂરો
શ્રમિકોને પડી રહી છે હાલાકી
લોકડાઉનના કારણે દેશભરમાં શ્રમિકૉએ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પ્રયત્નો કર્યા. સરકારના અણઘડ નિર્ણયોના કારણે મજૂરો માટે પડતા પર પાટું જેવા હાલ થયા. જે તે રાજ્યમાં ફસાયેલા મજૂરોના રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં જાણે રાજ્ય સરકારોએ હાથ ઊંચા કરી દીધા. જ્યારે મજૂર વર્ગ પગપાળા વતન જઈ રહ્યા હતા ત્યારે પ સરકારો કાચી પડી. ત્યારે હવે મધ્યપ્રદેશથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં મજૂરો કોન્ક્રીટના મિક્સરમાં ઘુસીને વતન તરફ જતા નજરે પડી રહ્યા છે.
લોકડાઉનના કારણે વિવિધ રસ્તાથી ઘરે જતાં મજૂરોની તસવીરો બધાએ જોઈ હશે પરંતુ આ વીડિયો જોઇને બધા સ્તબ્ધ રહી ગયા. ઈન્દોર પોલીસે હાઈવે પર ટ્રક રોકાવીને જ્યારે તપાસ હાથ ધરી તો ટ્રકના મિક્સરમાંથી એક એક કરીને ઘણા બધા લોકો નીકળ્યા. કોન્ક્રીટના ટ્રકના મિક્સરમાંથી એક બાદ એક 18 મજૂરોને જોઇને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
ન્યૂઝ એજન્સી ANI ના અહેવાલ અનુસાર આ લોકો મહારાષ્ટ્રથી ઉત્તરપ્રદેશ જઈ રહ્યા હતા. ઈન્દોરના ડીએસપીએ જણાવ્યું કે ટ્રકને પોલીસ સ્ટેશન મોકલી દેવામાં આવ્યો છે. આ સિવાય મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે તથા આ રસ્તે પ્રવેશ કરતા શ્રમિકો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન
નોંધનીય છે કે હાલમાં ગૃહમંત્રાલયે વિવિધ રાજ્યોમાં ફસાયેલા મજૂરોને તથા સહેલાણી અને વિદ્યાર્થીઓને પોતાના વતન તરફ જવા માટે છૂટ આપી દીધી છે. રેલ્વે દ્વારા કહેવામાં આવ્યું છે કે તે આવા લોકો માટે સ્પેશીયલ ટ્રેન પણ ચલાવશે. છતાં આ રીતે શ્રમિકોને મુસાફરી કરીને જવું પડી રહ્યું છે. શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે ગૃહ મંત્રાલયે એક ગાઈડલાઈન જાહેર કરી હતી. જે અનુસાર પ્રવાસી મજૂરો, પ્રવાસીઓ, તીર્થયાત્રીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય વ્યક્તિઓને અલગ અલગ સ્થળો પર લઇ જવા માટે 1 મે મજૂર દિવસ અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પર શ્રમિક સ્પેશિયલ ટ્રેન મહારાષ્ટ્રથી બીજા રાજ્યોના ફંસાયેલા લોકોને લઇને આ ટ્રેન નિકળી.