વલસાડ જિલ્લામાં 36 કલાકમાં 18 ઈંચ જેટલો તોફાની વરસાદ ખાબકતાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઇ હતી.
વલસાડમા મેઘરજાનું તોફાની સ્વરૂપ
ધરમપુર બામટી નજીક માન નદીનો પુલ ધોવાયો
ધરમપુરથી હનુમત માળ માર્ગ પર ભૂસ્ખલન
હવામાન વિભાગ દ્વારા રાજ્યમા કરવામા આવેલી આગાહીને લઈને આજે વલસાડ જિલ્લામાં તોફાની વરસાદ ત્રાટક્યો હતો. જેને લઈને અનેક સ્થળોએ તારાજી અને હેરાનગતિના દ્રશ્યો સર્જાયા હતા.વલસાડ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. તો ભારે વરસાદને લીધે નવા નીરની આવક થતાં ધરમપુરની માન નદી અને ઔરંગા નદીમા ઘોડાપૂર આવ્યા હતા. વધુમા ધરમપુર બામટી નજીક માન નદીનો પુલ ધોવાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભારે વરસાદને લઇને ધરમપુરથી હનુમત માળ માર્ગ પર ભૂસ્ખલન થયું હતું.
નદી કિનારાના વિસ્તારના લોકોને અલર્ટ કરાયા
જિલ્લામાઆ આભ ફાટ્યું હોય તવી સ્થિતિ વચ્ચે વલસાડ જિલ્લાની ઔરંગા નદી ગાંડીતૂર બની હતી. જિલ્લામા 36 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબકતાં ઔરંગા નદી બે કાંઠે વહી હતી. તથા ધરમપુરના જંગલ વિસ્તારમાં 18 ઇંચ વરસાદને લીધે સ્થળ ત્યાં જળના દ્રશ્યો સર્જાયા હતા. વધુમા કાશ્મીરાનગર, લીલાપોર, હનુમાન ભાગડા ગામ, બંદરો રોડ પાણીમાં ગરકાવ થયા હતા અને દરિયામાં ભરતીને કારણે ઔરંગા નદીના પાણી શહેરમાં પ્રવેશ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. તો બીજી બાજુ ધરમપુરની માન નદીનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું હતું. ધરમપુર બામટી નજીક માન નદીનો પુલ ધોવાતા પુલ પર પાણી ફરી વળ્યા હતા. ઔરંગા નદીમાં પૂર આવતા નદીની આસપાસના વિસ્તારમાં પાણી ઘૂસ્યા હતા.કશ્મીરનગર, બરુડિયાબાદ વિસ્તારમાં પાણી ઘૂસતા અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરી નદી કિનારા વિસ્તારના લોકોને અલર્ટ કરાયા હતા.
નોંધાઈ ગામે લો લેવલ પુલ પાણીમાં ગરકાવ
વરસાદ બાદ ઔરંગા નદીના ધસમસતા પ્રવાહના આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા. વધુમા નોંધાઈ ગામે લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો હતો અને ચાર જેટલા ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. વલસાડના હનુમાન ભાગડા ગામે વહેતી ઔરંગા નદીના પાણી ગામમાં ઘૂસતા લોકોની મુશ્કેલી વધી હતી. વધુમા ઔરંગા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી હતી. ત્યારબાદ ઔરંગા નદી કિનારા વિસ્તારોમાંથી પાણી ઓસરવાની શરૂઆત થતાં અસરગ્રસ્ત વિસ્તારના લોકોની મદદે સેવાભાવી સંસ્થાઓ પહોચી હતી. સ્થાનિક કોર્પોરેટર્સ અને RSSના સ્વયંસેવકો અસરગ્રસ્ત વિસ્તારોમાં દૂધ અને ફૂડ પેકેટની સહાય માટે દોડી ગયા હતા.
અસરગ્રસ્તોની મુલાકાતે જિલ્લા પોલીસવડા ડો.રાજદિપસિંહ ઝાલા દોડી ગયા
આ ઉપરાંત વલસાડના જંગલ અને ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને લીધે ધરમપુરથી હનુમત માળ માર્ગ પર ભૂસ્ખલન થયું હતું. ડુંગરથી ભૂસ્ખલન થતાં મોટા પથ્થરો રસ્તા પર ધસી પડયા હતા. આથી માર્ગ પર વાહનવ્યવહાર બંધ કરી દેવાની નોબત આવી હતી. જેને લઈને રસ્તો સરૂ કરવા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામા આવી હતી.વલસાડમાં ભારે વરસાદથી નિચાણવારા વિસ્તારોમા વરસાદી પાણી ઘૂસ્યા હતા. પાણી ભરાતા NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતું. લીલાપોર ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયા બાદ વહીવટી તંત્ર અલર્ટ મોડ પર આવી ગયું હતું. અસરગ્રસ્તોની મુલાકાતે જિલ્લા પોલીસવડા ડો.રાજદિપસિંહ ઝાલાએ દોડી જઈ લીલાપોરમાં અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી.
વલસાડના લીલાપોરમાં વાહન પર ફસાયેલાનું કરાયુ રેસક્યું
લીલાપોરમાં વાહન પર પાણીના પ્રવાહમાં ફસાયેલા યુવકનું NDRFની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. ચોમાસાની ઋતુમા ઔરંગા નદીમાં રેતી ખનન કરતો યુવક વાહન પર ફસાયો હતો. મોડીરાત્રે ઔરંગા નદીમાં JCB પર યુવક સુતો હોવાની જાણ થતાં NDRFની ટીમે તેને બચાવી લીધો હતો.