દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે છેલ્લા 24 કલાકમાં દેશમાં 1.79 લાખ કોરોનાના નવા કેસ નોંધાયા
દેશમાં કોરોનાનો વધ્યો કહેર
છેલ્લા 24 કલાકમાં 1.79 લાખ કેસ નોંધાયા
46,569 લોકો કોરોનાથી થવા સ્વસ્થ
દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 1,79,723 નવા કેસ નોંધાયા છે જ્યારે 46,569 લોકો સ્વસ્થ થયા છે.જો કે રાહતની વાત તો એ છે કે ગતરોજ કરતા આજે કોરોનાથી મોતની સંખ્યામાં ઘટાડો થયો છે. 9 જાન્યુઆરીએ દેશમાં કોરોનાથી 327 લોકોના મોત નીપજ્યા હતા જે આજે ઘટીને અડઘા એટલે કે 146 થઇ ગયા છે. જે જોતા કહી શકાય કે કોરોનાના કેસ તો વધી રહ્યા છે કોરોનાથી મોતની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આ 9 જાન્યુઆરીએ કોરોનાના કારણે 146 દર્દીઓના મોત નીપજ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR અનુસાર, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 13,52,717 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે ગઈકાલ સુધીમાં દેશમાં કુલ 69,15,75,352 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 7,23,619
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પર નજર કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં કુલ કેસ 3,57,07,727 થઈ ગયા છે. હાલમાં સક્રિય કેસ 7,23,619 છે. અત્યાર સુધીમાં 3,45,00,172 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. જો કે, આ વાયરસથી દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,83,936 લોકોના મોત થયા છે. મહત્વનુ છે કે દેશભરમાં કોરોનાને કાબૂમાં લેવા વ્યાપક રસીકરણ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. હવે દેશમાં રસીના 1,51,94,05,951 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજા એમ બંને ડોઝનો સમાવેશ કરવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં 44,388 નવા કેસ,12ના મોત
મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 44,388 કેસ નોંધાયા હતા. જે બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 69,20,044 થઈ ગઈ છે. આ સિવાય 12 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 1,41,639 પર પહોંચ્યો છે. એક દિવસ પહેલા રાજ્યમાં કોરોના સંક્રમિતોના 41,434 કેસ નોંધાયા હતા અને 13 દર્દીઓના મોત થયા હતા. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે દિવસ દરમિયાન 15,351 લોકોના કોરોનાથી સ્વસ્થ થયા પછી, સાજા થનારા લોકોની સંખ્યા વધીને 65,72,432 થઈ ગઈ છે.
દિલ્હીમાં કોરોનાથી 17ના મોત
વાત કરીએ દિલ્હીની તો દિલ્હીમાં કોવિડ -19 થી વધુ 17 લોકોના મોત નીપજ્યા છે જ્યારે સંક્રમણના 22,751 નવા કેસ નોંધાયા છે. જે બાદ સંક્રમણ દર 23.53 ટકા નોંધાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી હતી. સરકારી ડેટા અનુસાર, કોવિડના 1,618 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી 44 વેન્ટિલેટર પર છે.
દેશમાં ઓમિક્રોન-કોરોનાના કેસ વધ્યા
દેશમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે ભયાનક રીતે વધી રહ્યું છે. પ્રતિદિન એક લાખ કરતાં વધારે નવા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે જે ચિંતાનો વિષય છે. સંક્રમિતોની સંખ્યામાં એક જ સપ્તાહમાં છ ગણો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ Omicron વેરિયન્ટ હોવાનું માનવામાં આવે છે. જો કે ઓમિક્રોન હવે વેક્સિનને પણ મા'ત આપી રહ્યો છે. વધતા સંક્રમણ સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.
ઓમિક્રોનનાં 3623 કેસ
ભારતમાં આ સાથે ઓમિક્રોન કેસની સંખ્યા 3623 પહોંચી ગઈ છે. જેમાંથી 1409 દર્દીઓ રિકવર થઈ ગયા છે. ઓમીક્રોનનાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1009 કેસ છે જ્યારે દિલ્હી બીજા ક્રમે 513 કેસ સાથે છે.