આજે દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાશે. જેમાં સાંસદો સિવાય વિવિધ રાજ્યોના ધારાસભ્યો આજે (Presidential election 2022) મતદાન કરશે. સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધી આ મતદાન યોજાશે.
દેશમાં આજે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન
ગુજરાત વિધાનસભામાં કુલ 178 ધારાસભ્યો કરશે મતદાન
ભાજપના 111 અને કોંગ્રેસના 63 ધારાસભ્યો કરશે મતદાન
દેશ (India) માં આજે 15માં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન થશે. ત્યારે આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો આજે મતદાન કરશે. ગુજરાતના કુલ 178 ધારાસભ્યો મતદાન કરશે. જેમાં ભાજપના 111 અને કોંગ્રેસના 63 ધારાસભ્યો મતદાન કરશે. જ્યારે NCPના 1, BTPના 2 અને એક અપક્ષ ધારાસભ્ય પણ મતદાન કરશે. એ સિવાય રાજ્યસભાના કુલ 11 સાંસદો ચૂંટણીમાં મતદાન કરશે જ્યારે લોકસભાના 26 સાંસદો આજે મતદાન કરશે.
21 જુલાઈએ મતગણતરી બાદ જાહેર થશે કે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે
વધુમાં જણાવીએ કે, આ ચૂંટણીમાં NDA તરફથી દ્રોપદી મુર્મૂ અને વિપક્ષના યશવંત સિન્હા મેદાનમાં છે. 21 જુલાઈએ મતગણતરી બાદ જાહેર થશે કે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે. આ ચૂંટણીના એક દિવસ પહેલા રવિવારે યશવંત સિન્હાએ એક એવી અપીલ કરી દીધી કે ભાજપમાં ડર પૈદા થઇ ગયો. યશવંત સિન્હાએ સાંસદો-ધારાસભ્યોને કહ્યું કે પોતાના અંતરઆત્માનો અવાજ સાંભળો અને મને મત આપો. તેમણે ભાજપના મતદારોને કહ્યું કે હું ક્યારેક તમારી પાર્ટીનો હતો. જોકે, હવે તે પાર્ટી ખતમ થઇ ચૂકી છે અને સમગ્ર રીતે એક નેતાના નિયંત્રણમાં છે.
વધુમાં તેઓએ કહ્યું કે, આ ચૂંટણી ભાજપમાં ખુબ જ જરૂરી કોર્સ કરેક્શનનો આખરી મોકો છે. મારી ચૂંટણીમાં તમે દેશની લોકશાહીને બચાવો. આ ચૂંટણી 2 ઉમેદવારો વચ્ચેની નથી, પરંતુ આ 2 વિચારધારાઓની ચૂંટણી છે, જેનું અમે પ્રતિનિધિત્વ કરીએ છીએ. મારી વિચારધારા ભારતનું બંધારણ છે અને મારા પ્રતિસ્પર્ધી તે તાકાતોનું પ્રતિનિધિત્વ કરે છે, તેમની વિચારદારા અને એજન્ડા બંધારણ બદલવાનો છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 776 સાંસદ અને 4120 ધારાસભ્ય કરશે મતદાન
મુખ્ય ચૂટંણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 76 સાંસદ અને 4120 ધારાસભ્ય કરશે મતદાન કરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે
મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તે પહેલા દેશના આગામી અને 15માં રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. છેલ્લા 45 વર્ષથી આ તારીખે ચૂંટાયેલા પ્રમુખ પદ પર બિરાજમાન છે. છેલ્લે 17 જુલાઈ, 2017ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે અને કોણ ન કરી શકે?
દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકો મત આપી શકતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નામાંકિત સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને મત આપવાનો અધિકાર નથી.જો કોઈ રાજ્યના મુખ્યમંત્રી વિધાન પરિષદના સભ્ય હોય તો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા મતદાન થાય છે. એટલે કે રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાના સભ્ય સમાન મત આપી શકે છે. આ ઉપરાંત તમામ રાજ્યોની વિધાનસભાના સભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરે છે. તેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના સભ્યો પણ સામેલ છે.
કોણ છે દ્રોપદી મુર્મૂ?
દ્રોપદી મુર્મૂએ ઓડિશાના કાઉન્સિલર બનવાની સાથે રાજકીય જીવનની શરૂઆત કરી હતી. 20 જૂન 1958ના જન્મેલા દ્રોપદી મુર્મૂ ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજૂ જનતા દળ ગઠબંધન સરકાર દરમિયાન 2000-2002 સુધી વાણિજ્ય અને પરિવહન માટે સ્વતંત્ર પ્રભાર અને 6 ઓગસ્ટ 2002થી મે સુધી મત્સ્ય પાલન અને પશુ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી હતા. તેઓ વર્ષ 2000થી 2004માં ઓડિશાના પૂર્વ મંત્રી અને રાયરંગપુર વિધાનસભાથી ધારાસભ્ય હતા. તેઓ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ બન્યા હતા. તો રાજ્યપાલ પદે પહોંચનારા ઓડિશાના પ્રથમ મહિલા અને આદિવાસી નેતા રહ્યાં છે. તો ચૂંટાયા બાદ દ્રૌપદી મુર્મૂ ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. આ સિવાય તે ઓડિશાથી પ્રથમ રાષ્ટ્રપતિ પણ હશે.
કોણ છે યશવંત સિન્હા ?
યશવંત સિન્હા ભારતીય રાજકારણી અને ભાજપના ભૂતપૂર્વ વરિષ્ઠ નેતા હતા. બાદમાં તેઓ તૃણમૂલ કોંગ્રેસના નેતા હતા, જેમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું. યશવંત સિન્હા વર્ષ 1960માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ હોદ્દા પર રહીને સેવામાં 24 વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો. 4 વર્ષ સુધી તેમણે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપી. બિહાર સરકારના નાણા મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી રહ્યા પછી, તેમણે ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં નાયબ સચિવ તરીકે કામ કર્યું હતું.