કામ ન કરનારા અધિયકરીઓ સામે મોદી સરકારે લાલ આંખ કરી છે.
મોદી સરકાર કામ ન કરતાં બાબુઓ સામે એક્શનમાં
બે જ વર્ષમાં 170ની હકાલપટ્ટી
સમય પહેલા જ સેવાનિવૃત્તિ આપી દેવાઈ
કામ ન કરનારા સરકારી બાબુઓ સામે મોદી સરકાર કડક થઈને કામ કરી રહી છે. લોકસભામાં સરકારે આપેલી જાણકારી અનુસાર બે જ વર્ષમાં સરિકારે 170 બાબુઓની હકાલપટ્ટી કરી છે. બીજી તરફ સરકારે હવે મોટા પદો પર પ્રાઇવેટ ક્ષેત્રમાં એક્સપર્ટને લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
કામ ન કરનારાઓ ઘરભેગા
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં જાણકારી આપી છે કે છેલ્લા બે વર્ષમાં કામ ન કરનારા 170 અધિકારીઓને સમય પહેલા જ સેવાનિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે વિભિન્ન મંત્રાલયો, વિભાગો અને કેડર દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર છેલ્લા બે વર્ષમાં ગ્રુપ-એના 90 જ્યારે ગ્રુપ-બીના 80 અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.
લેટરલ એન્ટ્રી કરશે સરકાર
જિતેન્દ્ર સિંહે લોકસભામાં આપેલી જાણકારી અનુસાર કેન્દ્ર સરકાર હવે લેટરલ એન્ટ્રીના મારફતે ત્રણ સંયુક્ત સચિવ, 27 ડાયરેક્ટર અને 13 ઉપસચિવની ભરતી કરવા જઈ રહી છે. નોંધનીય છે કે લેટરલ એન્ટ્રીનો અર્થ થાય છે કે સરકારી વિભાગોમાં પ્રાઇવેટ ક્ષેત્રના એક્સપર્ટને સામેલ કરવા.
પ્રાઇવેટ ક્ષેત્રના એક્સપર્ટને સરકારમાં અધિકારી તરીકે સ્થાન
સરકારે આપેલા જવાબ અનુસાર પહેલી વાર 2018-19માં લેટરલ એન્ટ્રી હેઠળ 10 પદો પર સંયુક્ત સચિવની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં 8ની નિયુક્તિ થઈ હતી અને સાત અત્યારે પોતાના પદો પર કાર્યરત છે. નવા પ્રસ્તાવમાં સંયુક્ત સચિવ સ્તર પર ત્રણ પદોને ભરવાના છે જેમાં ડાયરેક્ટર સ્તરના 27 જ્યારે ઉપસચિવ સ્તરના 13 પદો પર લેટરલ ભરતી કરવાનો પ્રસ્તાવ છે. નોંધનીય છે કે કેન્દ્રીય સૂચના આયોગમાં સૂચના આયુક્ત પદ પર ત્રણ પદ ખાલી છે. આ આયોગમાં એક મુખ્ય સૂચના આયુક્ત અને 10 સૂચના આયુક્ત હોય છે.