રાજકોટમાં 17 વર્ષીય આયુષી રાવલ નામની સગીરાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરનારી સગીરાના માતા-પિતાના છૂટાછેડા થઇ ગયા છે અને સગીરા પિતા સાથે રહીને અભ્યાસ કરતી હતી. આત્મહત્યા કર્યા પહેલાં સગીરાએ સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં ડિપ્રેશનમાં આવીને પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્યુસાઇડ નોટમાં સગીરાએ લખ્યું કે, "ઘણા સમયથી ડિપ્રેશનમાં છું, કોઇનો કંઇ વાક નથી, સોરી હું જીવી નહીં શકું."
બીજી બાજુ શહેરના ગુલાબનગરમાં એક યુવાને આપઘાત કર્યો
બીજી બાજુ શહેરના કોઠારિયા સોલવન્ટ પાસે આવેલા ગુલાબનગરમાં રહેતા રાહુલ ઉમેશભાઇ ચૌહાણ નામના 18 વર્ષના એક યુવાને પણ ગત રાત્રિએ પોતાના ઘરે પંખામાં સાડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જો કે, પરિવારજનોને ખ્યાલ આવતા 108ને બોલાવાઇ પરંતુ રાહુલને સારવાર મળે એ પહેલા જ ફરજ પરના સ્ટાફે રાહુલનું મોત નિપજ્યાંનું જાહેર કરી આજી ડેમ પોલીસને જાણ કરી હતી.
રાહુલને સારવાર મળે એ પહેલા જ ફરજ પરના સ્ટાફે રાહુલને મૃતક જાહેર કર્યો
પોલીસ તપાસમાં મૂળ ઉત્તરપ્રદેશનો રાહુલ બે ભાઇઓમાં સૌથી નાનો હતો. તે ભાઇ અને માતા સાથે ઘર નજીક કરિયાણાની દુકાને બેસીને વેપાર કરતો હતો. ગઇકાલે મોટો ભાઇ દીપક ઘરે આવ્યો હતો અને રાહુલને બોલાવવા જતા તેના રૂમનો દરવાજો બંધ મળી આવ્યો. આથી દરવાજો ખટખટાવવા છતાં રાહુલે દરવાજો નહીં ખોલતા અંતે તેના ભાઇએ દરવાજો તોડી નાંખ્યો. આથી, રૂમમાં રાહુલને લટકતી હાલતમાં જોતા જ 108 ને પરિવારે જાણ કરી. પરંતુ રાહુલને સારવાર મળે એ પહેલા જ ફરજ પરના સ્ટાફે રાહુલનું મોત નિપજ્યાંનું જાહેર કર્યું. જો કે, રાહુલના આપઘાત પાછળના કારણથી પરિવારજનો અજાણ હોવાનું પોલીસને જણાવ્યું છે. આથી, પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. યુવાન પુત્રના મોતથી પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.