અભિવ્યક્તિ! એક એવો શબ્દ કે જે છેલ્લા 15 દિવસથી સતત અમદાવાદના કળા રસિકોના જીભે રમી રહ્યો. અભિવ્યક્તિ! એક એવો કળાપર્વ જેણે 17 દિવસ સુધી અમદાવાદ શહેરના 20 હજારથી પણ વધુ કળાના ભાવકો અને સાધકોને એક મંચ ઉપર જકડી રાખ્યા. ગઈ કાલે એટલે કે 1 માર્ચે આ ભવ્ય કાર્યક્રમ પૂર્ણ થયો અને કળાપ્રેમીઓના દિલોદિમાગ ઉપર અમીટ છાપ અને આવતા વર્ષે ચોથી એડિશન માટેની ઇન્તેજારી મુકી ગયો.
UNM ફાઉન્ડેશન અંતર્ગત યોજાતા અભિવ્યક્તિ કળાપર્વની આ વર્ષે યોજાયેલી ત્રીજી પ્રસ્તુતિનું ગઈકાલે સમાપન થયું છે. અમદાવાદીઓને તેમના મનગમતા કળાક્ષેત્રમાં પરફોર્મ કરતા ધુરંધર કલાકારોના કાર્યક્રમોને ફ્રીમાં માણવાનો એક અભૂતપૂર્વ લ્હાવો અભિવ્યક્તિએ પૂરો પાડ્યો.
અમદાવાદીઓએ આ તકને ભરપૂર માણી અને 28 કાર્યક્રમોના કુલ 79 શોને અને પુરા 33 કલાકારોને વધાવી લીધા. 14 ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધીએ 7 સ્ત્રી પાત્રો સાથેની નાટિકાઓ 'સાત તરી એકવીસ'થી અભિવ્યક્તિનો શુભારંભ કર્યો. નૃત્ય, નાટક, સંગીત અને વિઝ્યુઅલ આર્ટ એમ કુલ 4 ભાગમાં આ ફેસ્ટિવલ વહેંચાયેલો હતો અને દરરોજ સાંજે 6 થી 9 સુધી રોજના 3-4 કાર્યક્રમોને દર્શકોનો અદ્ભૂત પ્રતિસાદ સાંપડ્યો.
પછી એ નૃત્ય ક્ષેત્રે ભરતનાટ્યમ શૈલીમાં શ્રીકૃષ્ણ ઉપર આક્ષેપ મુકતી લક્ષ્મણા હોય કે વૈશાલી રાજ્યની બુદ્ધ ભક્ત કથક નૃત્યાંગના આમ્રપાલી હોય.
નાટકોમાં રમુજી પદ્ધતિથી પ્રોડક્શન ટીમનું મહત્વ સમજાવતા જીલેટીનને કે પછી પોએટિક જસ્ટિસ નાટકમાં રાજદ્રોહના ગુના હેઠળ અદાલતના પાંજરામાં ઉભેલા એક લેખકની ધારદાર દલીલોને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો.
સંગીત ક્ષેત્રે અમદાવાદની ભૂમિમાં ક્યારેય ન યોજાયા હોય એવા કાર્યક્રમોનું આયોજન થયું. 'ગઝલનામા' હેઠળ ઉર્દુ રસિકોએ ગઝલ અને નઝમોને શરૂઆત થી લઇને આધુનિક માળખામાં માણી. 'રંગરાગ' કાર્યક્રમમાં કદાચ પ્રથમ વખત ગઝલ અને શાસ્ત્રીય સંગીતનું એક મંચ ઉપર સુખદ મિલન થયું. 'વાર્તાનાલાપ' કાર્યક્રમમાં આપણા ગુજરાતી બાળગીતોને વિશિષ્ટ એવા પશ્ચિમી જાઝ સંગીતના સૂરોમાં ઢાળવામાં આવ્યા તો ઘનશ્યામ ગઢવીએ ચકલી જેવા વિષય ઉપર ડાયરો યોજ્યો અને જમાવટ કરી.
આટલું ઓછું હોય એમ KCG કેમ્પસના આંગણે ચકિત થઇ જવાય અને એક એક કૃતિ વિચારવા માટે મજબૂર કરી દે એવી પુરી સર્જનાત્મક 43 આર્ટિફેક્ટ્સ એટલે કે વિઝ્યુઅલ આર્ટ્સની ચીજવસ્તુઓનું પ્રદર્શન મુકવામાં આવ્યું જેનાથી અભિવ્યક્તિ એડિશન 3ના કાર્યક્રમમાં સોનામાં સુગંધ ભળી. અમે પોતે પણ KCG કેમ્પસની મુલાકાત લીધી અને આ પ્રદર્શનને અને કૃતિઓની મજા માણી.
આ સમગ્ર કાર્યક્રમ માટે ચારેય ક્ષેત્રોમાં કુશળ અને અનુભવી ક્યૂરેટર્સને મુકવામાં આવ્યા હતા જેમની સાથે વર્કશોપ અને વાર્તાલાપના કાર્યક્રમો પણ ગોઠવાયા હતા.
આ તમામ આયોજકો, કલાકારોની મહેનત અને દર્શકોના પ્રતિસાદ માટે અમદાવાદ શહેર અભિવ્યક્તિ પર્વનો આભાર વ્યક્ત કરે છે. અમદાવાદીઓ નિઃશંકપણે આવતા વર્ષે ફેબ્રુઆરી 2021માં ફરીથી નવી કૃતિઓ સાથે આવનાર અભિવ્યક્તિની ચોથા એડિશનને 'અભિવ્યક્ત' કરવા માટે રાહ જોઈએ રહ્યા છે.