25 વર્ષના સૌથી વધુ વરસાદ ધરાવતા આ વર્ષે ભારતમાં પૂરના કારણે જીવ ગુમાવેલા લોકોનો વિક્રમજનક આંકડો સામે આવ્યો છે. ગુજરાતમાં જાનહાનિનો સત્તાવાર આંકડો ૧૫૦ છે. જો કે ગુજરાત જ નહિ સમગ્ર દેશમાં વાસ્તવિક આંકડો ઘણો વધુ હોય તેવી શંકા સેવાઈ રહી છે.
મેઘરાજા આ વર્ષે બન્યા યમરાજા
ભારતમાં આ વર્ષે મેઘરાજાએ લોકોમાં આનંદની લાગણી પ્રસરાવવા કરતા પ્રજાનું નિકંદન કાઢી નાખ્યું છે. ભારતમાં ક્લાઈમેટ ચેન્જના કારણે વરસેલા અનરાધાર વરસાદના કારણે આ વર્ષે ભારતમાં ૧૪ રાજ્યોમાંથી ૧૬૮૫ લોકોના મોત નોંધાયા છે અને સેંકડો લોકો લાપતા છે. આ કારણે કેટલું આર્થિક નુકશાન થયું છે તેનો કોઈ સત્તાવાર આંકડો જાહેર થયો નથી.
રાજ્યો દીઠ મોતની યાદી
૨૫ વર્ષમાં સૌથી વધુ નોંધાયેલા વરસાદમાં આ વર્ષે માનવજીવનું, રહેઠાણો, પશુઓ, ખેતી અને બાંધકામનું ભયંકર નુકશાન થયું છે. દેશના કુલ ૨૭૭ જીલ્લાઓ આ વર્ષે પુરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. સૌથી વધુ ૩૭૭ લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે. ગુજરાતમાં પૂરના મોતનો સત્તાવાર આંકડો ૧૫૦નો છે.
રાજ્ય
સત્તાવાર મોતના આંકડા
મહારાષ્ટ્ર
૩૭૭
પશ્ચિમ બંગાળ
૨૨૫
બિહાર
૧૩૦
કેરળ
૧૮૦
મધ્ય પ્રદેશ
૧૮૦
ગુજરાત
૧૫૦
કર્ણાટક
૧૦૫
આસામ
૯૭
આ વર્ષે ૨૨ લાખ લોકોને પુરના કારણે તેમના રહેઠાણ સ્થળથી ખસેડવામાં આવ્યા છે અને ૮૭૦૦ પુર રાહત કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે.
સૌથી વધુ ગરીબો નુકશાન વેઠે છે
નિષ્ણાતોના મતે પુરની ઘટનાઓમાં સૌથી વધુ ગરીબ લોકોને નુકશાન થાય છે. UNના એક આંકડા મુજબ દર વર્ષે ૨ કરોડ ૬૦ લાખ લોકો કુદરતી આફતોના કારણે ગરીબીમાં ધસડાય છે.
ક્લાઈમેટ ચેન્જ જવાબદાર
૧૯૯૮ થી ૨૦૧૭ની ૨૦ વર્ષની વિશ્વની કુલ કુદરતી આપત્તિઓમાંથી ૪૪% પુરની આપતિઓ હતી અને કુલ આપતિના ૭૨% આપત્તિઓ ક્લાઈમેટ ચેન્જના લીધે થઇ હતી.
ભારત સૌથી વધુ નુકશાન વેઠતા દેશોમાં ટોપ પાંચમાં
આ આપત્તિઓ ભારતના વૃદ્ધિ અને વિકાસને અવરોધે છે જ્યાં આ આપત્તિઓમાં દેશની મોટી સંખ્યાની પ્રજા ફસાય છે. UNના અહેવાલ મુજબ ૧૯૯૮ થી ૨૦૧૭ સુધી કુદરતી આફતોના કારણે ભારતે આશરે ૮૦ અબજ ડોલર જેટલું નુકશાન કર્યું છે. આ આંકડો સત્તાવાર કરતા ખુબ વધુ હોવાની શક્યતા છે કારણ કે ભારતની ૮૭% આફતો સત્તાવાર નોંધવામાં આવતી નથી. આટલા આંકડાઓ ઉપર પણ ભારત કુદરતી આફતોના કારણે સંપત્તિ ગુમાવતા વિશ્વના ટોચના ૫ દેશોમાંથી એક છે.