શાહીબાગ વિસ્તારની કુશાલવાટિકામાં રહેતા રાજેશકુમાર પટેલે ઓમ એજ્યુકેશનના માલિક દીપકભાઈ રૂપાણી, તેમની ઓફિસનું કામકાજ સંભાળતા દર્શિતભાઈ, આકાશભાઈ ગૌતમ વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. રાજેશકુમાર શેરબજારનું કામકાજ કરે છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રાજેશભાઈની દીકરી કુપલની એપોલો હોસ્પિટલમાંથી નર્સિંગનો અભ્યાસ પૂર્ણ થયા બાદ કેનેડા જવાની ઈચ્છા હતી, જેથી તેને કેનેડાના વિઝા જોઈતા હતા.
દીકરીના બાપને વિશ્વાસમાં લઇ પડાવ્યા રૂપિયા
કુપલના મિત્રવર્તુળમાંથી જાણવા મળ્યું કે આશ્રમરોડ પર આવેલ ઓમ એજ્યુકેશન વિદેશમાં અભ્યાસઅર્થે જનાર વિદ્યાર્થીના વિદેશની કોલેજમાં એડમિશન તથા વિઝાનું કામકાજ કરે છે, જેથી રાજેશભાઈએ જાન્યુઆરી- ર૦૧૯માં ઓમ એજ્યુકેશનના માલિક દીપક રૂપાણી સાથે મુલાકાત કરી હતી, જ્યાં દીપકભાઈ અને સ્ટાફે રાજેશભાઇને વિશ્વાસ અપાવ્યો હતો અને દીપકભાઈએ રાજેશભાઈને કહ્યું કે મારી દીકરી કેનેડાની હમ્બર કોલેજમાં અભ્યાસ કરે છે, જેથી તમારી દીકરીના સ્ટુડન્ટ વિઝા તથા હમ્બર કોલેજમાં નર્સિંગના કોર્સમાં એડમિશન કરાવી આપીશ તેમજ કેનેડામાં સ્ટુડન્ટ્સ વિઝા કોલેજ ફી અને જીઆઇસીની ફી તથા વહીવટીખર્ચ તેમજ કન્સલ્ટિંગ ચાર્જ સહિત ૧૬.પ૦ લાખ રૂપિયા આપવાના રહેશે.
તા.૩૦ ફેબ્રુઆરી, ર૦૧૯ના રોજ રાજેશભાઈ ઓમ એજ્યુકેશનની ઓફિસ ગયા હતા, જ્યાં દીપકભાઈએ હમ્બર કોલેજનો લેટર આપ્યો હતો અને કહ્યું હતું કે તમારી દીકરીનું એડમિશન હમ્બર કોલેજમાં થઇ ગયું છે તો બાકીની ફી ૧પ.૪૦ લાખ જમા દેવા જણાવ્યું હતું.
ખોટી રસીદ બનાવીને પડાવ્યા લાખો રૂપિયા
ત્યારબાદ રાજેશભાઈએ તા. ર સપ્ટેમ્બર, ર૦૧૯ સુધીમાં ૧૬ લાખ રૂપિયા દીપકભાઇને આપ્યા હતા. તે પછી દીપકભાઇ અને તેમના સ્ટાફના માણસો હમ્બર કોલેજની ફી ભર્યાની ખોટી રસીદ રાજેશભાઈને આપતા હતા. તેમ છતાં સપ્ટેમ્બર-ર૦૧૯ સુધીમાં પણ તેમની દીકરીના વિઝા આવ્યા ન હતા. રાજેશભાઈએ અવારનવાર સંપર્ક કરતાં તેઓ તેમને જવાબ આપતા હતા કે તમારું એડમિશન થઇ જશે. એડમિશન કેન્સલ થશે નહીં તેવો સંતોષકારક જવાબ આપતા ન હતા.
તે બાદ રાજેશભાઈએ તા. રપ નવેમ્બર ર૦૧૯માં કેનેડા ઇમિગ્રેશન ઓફિસનો સંપર્ક કરતાં તેમને જાણ થઇ હતી કે દીકરીની સ્ટુડન્ટ વિઝા ફાઈલ રિજેક્ટ થઈ હતી, જેથી રાજેશભાઈએ દીપકભાઈની ઓફિસ જઈને પૈસા પરત આપવા કહ્યું હતું. રાજેશભાઈએ જે રૂપિયા દીપકભાઈને આપ્યા હતા તેના દ્વારા તેમણે એડમિશનની કોઈ પક્રિયા કરી જ ન હતી અને ખોટી રસીદ બનાવીને લાખો રૂપિયા પડાવી લીધા હતા.
નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
ત્યારબાદ રાજેશભાઈએ અવારનવાર ફોન કર્યો, પરંતુ આજ સુધી પૈસા કે વિઝા મળ્યા ન હતા, જેથી રાજેશભાઈની દીકરીને કેનેડામાં મોકલવાના બહાને ૧૬.પ૦ લાખ જેટલી રકમ પડાવી લઈ વિઝા નહીં આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.