ગુજરાત અને દમણમાં પાણીમાં ડૂબવાની 5 ઘટના સામે આવી છે. જેમાં 6 લોકોના મોત નિપજ્યાં છે અને 3 હજુ પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટના નવાગામના તળાવમાં 5 લોકો ડૂબ્યા
દમણના દરિયામાં 5 પ્રવાસીઓ ડૂબ્યા
અરવલ્લીના બાયડના ઝાંઝરી ધોધમાં 2 વ્યક્તિઓના મોત
ડૂબવાની વધુ ઘટના બનાસકાંઠા જિલ્લામાં સામે આવી હતી. જેમાં વાવના દેવપુરા ખાતે મુખ્ય કેનાલમાં 3 યુવકો અકસ્માતે પડ્યા હતા. પગ લપસી જતાં 3 યુવાનો એક સાથે કેનાલમાં પડ્યા જ્યાં કેનાલના જળ પ્રવાહમાં ડુબવા લાગ્યા હતા. આ દરમિયાન સ્થાનિકોને જાણ થતા લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોએ 2 ને મોતના મુખમાંથી મહામહેનતે ઉગારી લઇ બચાવી લીધા હતા જ્યારે એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને લઇને ઘટના સ્થળે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.
નવાગામમાં બાળકી અને માતાના મોત
વધુ એક ઘટના રાજકોટના નવાગામમાં બની હતી જ્યાં પાણીના ખાડામાં કપડાં ધોવા સમયે એક બાળકી ડૂબી ગઇ હતી. આ દરમિયાન બાળકીને બચાવવા જતા અન્ય ચાર લોકો પણ ડૂબ્યા હતા. જેમાં બાળકી અને એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે સ્થાનિક લોકોએ અન્ય ત્રણ લોકોને બચાવી લીધા હતા. તમામ લોકો એક જ પરિવારના હોવાની પ્રાથમિક હકીકત સામે આવી છે.
દમણના દરિયામાં 5 ડૂબ્યાં
તો દમણના દરિયામાં લાઇટ હાઉસ નજીક પણ 5 પ્રવાસીઓ ડૂબ્યાનું સામે આવી રહ્યું છે. ન્હાવાની મોજ માણવા ગયેલા 5 પ્રવાસીઓ ડુબવા લાગતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. આથી તરવૈયાઓએ 2 યુવાનોને બચાવી લીધા હતા જયારે 3 લોકોની હજુ પણ શોધખોળ ચાલુ છે. તમામ પ્રવાસીઓ દમણ ફરવા આવ્યા હતા.
જેતપુર ડૂબી જતાં એક કિશોરનું મોત
વધુમાં જેતપુર પાસે આવેલ ભાદર નદી બેઠી ધાબી નદીમાં ત્રણ કિશોરો ન્હાવા પડ્યા હતા. જેમાંથી ડૂબી જતા એક કિશોરનું મોત નીપજ્યું છે. સ્થાનિક યુવાનોએ ત્રણેય કિશોરોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એક કિશોરનું મોત અને અન્ય બે કિશોરો હાલમાં સારવાર હેઠળ હોવાનું સામે આવી રહ્યું છે.
ઝાંઝરીના ધોધમાં ડૂબી જવાથી 2 યુવાનના મોત
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા ઝાંઝરીના ધોધમાં ડુબવાની વધુ એક ઘટના સામે આવી છે. જ્યા અમદાવાદથી પિકનિક માટે આવેલા 2 વ્યક્તિઓ નહાવા પડ્યા હતા. જે ધોધના જળપ્રવાહમાં ડૂબ્યાં બાદ બંને વ્યક્તિઓના મોત નિપજતા સનસનાટી મચી ગઇ છે. આ અંગે જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર સહીતનો સ્ટાફ દોડી ગયો હતો.