રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ફરીવાર કોરોનાના કેસો વધી રહ્યાં છે એવામાં 7 વર્ષના બાળક સહિત 16 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચડ્યાં છે.
સૌરાષ્ટ્રમાં ફરીવાર કોરોનાના કેસો વધ્યા
7 વર્ષના બાળક સહિત 16 લોકો કોરોનાગ્રસ્ત
રાજકોટમાં અમેરિકાથી પરત આવેલા 3 લોકો કોરોનાની ઝપેટમાં
એકતરફ આવતીકાલથી સ્કૂલોમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી શરૂ થશે તો એવામાં બીજી તરફ રાજ્યમાં કોરોનાનું સંકટ વધી રહ્યું છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ફરીવાર કોરોનાના કેસો વધી રહ્યાં છે. 7 વર્ષના બાળક સહિત 16 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. રાજકોટમાં અમેરિકાથી પરત આવેલા 3 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. બીજી બાજુ જામનગરમાં ખંઢેરી સ્ટેડિયમમાં મેચ જોઈને આવેલા તબીબને પણ કોરોના થયો છે.
ઉલ્લેખનીય છે કે, એક તરફ જ્યાં તાજેતરમાં જ ઉનાળુ વેકેશન પૂર્ણ થતા રાજ્યમાં સ્કૂલો ફરીથી ધમધમવા લાગી છે. એવામાં રાજકોટમાં ફરીવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. સ્કૂલોમાં બાળકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) બી.એસ. કૈલા દ્વારા તાજેતરમાં જ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ તમામ સરકારી અને ખાનગી શાળાઓને કડક આદેશ આપવામાં આવ્યો છે. જેમાં શાળામાં આવતા દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. જો સ્કૂલ દ્વારા આ બાબતે ઢીલાશ દાખવવામાં આવશે તો કડક કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ અપાયો છે.
શાળામાં સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય લેવાયો: DEO
આ અંગે બી.એસ. કૈલાએ જણાવ્યું કે, રાજકોટ જિલ્લામાં ધીમી ગતિએ કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે શાળાઓમાં કોરોનાનું સંક્રમણ ન વધે એ માટે અને બાળકોની સલામતિને ધ્યાનમાં લઇને જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરીને આવવું તેવી સૂચના અપાઇ છે. જિલ્લાની તમામ શાળાઓના સંચાલકોએ પણ શાળામાં SOPનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બિલ્લી પગે કોરોના કેસોમા સતત વધારો જોવા મળી રહ્યો છે. એમાંય 6 દિવસથી તો કોરોના બેવડી સદી મારી રહ્યો છે એટલે કે રાજ્યમાં ગઇકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 226 કેસ નોંધાયા છે. જો કે, કોરોનાના કારણે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. 163 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 1524 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 2 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.
કોરોનાના સૌથી વધુ 108 કેસ અમદાવાદમાં નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કુલ 108 કેસ પોઝિટિવ આવ્યા છે. સુરતમાં 37 કેસ, વડોદરામાં 28 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, ભાવનગરમાં 4 કેસ, મહેસાણામાં 5 કેસ, જામનગરમાં 4 કેસ, રાજકોટમાં 7 કેસ,કચ્છમાં 5 કેસ ,વલસાડમાં 5 કેસ નવસારીમાં 4 કેસ, ભરૂચમાં 2 કેસ, અમરેલી-આણંદ જિલ્લામાં કોરોનાના એક-એક કેસ દાખલ ખેડા અને તાપીમાં પણ એક-એક કોરોનાના કેસ દાખલ થયા છે.
સાજા થવાનો દર 98.98 ટકા
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10946 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં ગઇકાલે કુલ 55,584 નાગરિકોના રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.09 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.98 ટકા પહોચ્યો છે.