અરવલ્લી જિલ્લામાં તરુણના અપહરણના પ્રયાસનો ચોંકાવનારો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. જેમાં ભીલોડાના નારસોલી પાસેથી 15 વર્ષના કિશોરનું કારમાં આવેલા શખ્સોએ અપહરણ કર્યું હતું. તરુણ ભિલોડાથી આધારકાર્ડની કામગીરી પૂરી કરી વાંકાનેર પરત આવતો હતો તે વેળાએ ઇકકો ચાલક સહીતના શખ્સોએ તેને ઇકકોમાં બેસાડયો હતો. ત્યારબાદ વાંકાનેર ઉતર્યો ન હતો અને તરુણને બેભાન કરી અમદાવાદ રોડ પર લઈ જતા હતા. આ વેળાએ યુવાનને ભાન આવતા તેણે અજુગતું થવાની જાણ થતા તરુણે હિંમતનગર નજીક હિંમત બતાવી ચાલુ કારે કૂદકો મારી દીધો હતો. આ ઘટનાને લઈને તરુણના પરિવારજનો ભયભીત થયા હતા અને તરુણ પણ હેબતાઈ ગયો હતો.
ભિલોડા પોલીસે ફરિયાદ લેવા તાજવીજ હાથ ધરાઈ
આ ઘટનાની જાણ થતા જ વાંકાનેર ગામના પરિવારજનો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને સમગ્ર ઘટના અંગે ભિલોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. જેને લઈને પોલીસે પણ આરોપીઑનું પગેરું દબાવવા આસપાસના સીસીટીવી તપાસવા સહીતની કાર્યવાહી આરંભી છે. ઉપરાંત કિશોરના અપહરણના પ્રયાસ મામલે કારણ જાણવા કામગીરી હાથ ધરી છે.
અમદાવાદમાં ટ્યુશનથી ઘરે આવતા બાળકનો અપહરણનો પ્રયાસ
ઉલ્લેખનીય છે કે,માતા પિતાને ચેતવણીરુપ આવો જ એક કિસ્સો ગઇકાલે અમદાવાદમાં સામે આવ્યો હતો. જેમાં નરોડા પ્રમુખ એવન્યુમાં રહેતા દિનેશભાઇ પંચાલનો 14 વર્ષનો દીકરો ટ્યુશન જવા ઘરેથી નીકળ્યો હતી. આ દરમિયાન બાઈક પર આવેલા એક શખ્સે પાછળથી બાળકને પકડીને અપહરણનો પ્રયાસ કર્યો હતો. આ બાઈકની સાથે એક ઇકો વાન પણ હતી. પરંતુ આ દરમ્યાન એક મહિલા આવી જતા બાળકનું અપહરણ થતા અટકી ગયું અને આરોપી ફરાર થઇ ગયા હતા. આ વેળાએ આરોપીઑએ લાજવાને બદલે ગાજ્યાં હોય તેમ "આજ તો તુને ઉસે બચા લિયા કલ કોન બચાયેગા" તેમ કહીને તે બાઈક લઈને ભાગી ગયો હતો. આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી.