પાટણ સબ જેલમાંથી 8 કેદીઓને અને મહેસાણા જિલ્લાની જેલમાંથી 7 કેદીઓને મુક્ત કરાયા, જામીન પર 90 દિવસ માટે કર્યા મુક્ત
પાટણ જેલમાંથી 8 કેદીઓને કરાયા મુક્ત
જેલમાં કોરોનાના ખતરાને પગલે બે મહિના માટે મુક્તિ
મહેસાણા જેલમાંથી 7 કેદીને કરાયા મુક્ત
રાજ્યમાં કોરોના લોકો માટે આફત સમાન રહ્યો છે. પરંતુ પાટણ સબ જેલના 8 કેદીઓ માટે કોરોના આશીર્વાદ સમાન સાબિત થયો હોવાનું સામે આવ્યું છે. કોરાના મહામારીના કારણે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ હાઈપાવર કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં છેલ્લા 7 વર્ષથી ઓછી સજાના કેદીઓને બે મહિના માટે જેલમુક્ત કરવાનો નિર્ણય કરાયો છે. જેના ભાગરૂપે પાટણ સબ જેલમાંથી 8 કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા હતા. સાથે જ રાશન કીટ અને સાબુ પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને સામાજિક અંતર વિશે પણ સમજ આપવામાં આવી હતી.
મહેસાણા જિલ્લાની જેલમાંથી 7 કેદીને કર્યા મુક્ત
તો આ સાથે મહેસાણા જિલ્લાની જેલમાંથી 7 કેદીઓને મુક્ત કરાયા છે. જેમાં મહેસાણા જેલમાંથી 7 કાચા કામના કેદીઓને મુક્ત કરાયા છે. જેમને વચગાળાના જામીન પર 90 દિવસ માટે મુક્ત કરાયા છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે.
મહત્વનું છે કે, કોરોના મહામારીને ધ્યાને રાખી સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. કોર્ટે દેશની જેલમાં ભીડ ઓછી કરવા માટે આદેશ કર્યો છે. અને આ અંગે તમામ રાજ્ય સરકારોને એક કમિટીની રચના કરવા માટે પણ કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે આદેશ કરતા કહ્યું કે, જેલમાં ભીડ ઓછી કરવા માટે 90 દિવસ સુધી કેદીઓને જામીન આપી દેવામાં આવે. જેનાથી જેલમાં કેદીઓની સંખ્યામાં ઘટાડો થશે. 90 દિવસ બાદ તમામ કેદીઓને પરત જેલમાં લવાશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં તમામ રાજ્યોને એક કમિટીની રચના કરવા માટે પણ કહ્યું હતું..આ કમિટી નક્કી કરશે કે જેલમાંથી કયાં કેદીને મુક્ત કરવામાં આવે. સાથે સાથે નાના મોટા ગુનામાં સંડોવાયેલા કેદીઓને પ્રથમ તક આપવામાં આવશે.