શહેરમાં દિવસેને દિવસે ચોરીના બનાવો વધતા જાય છે ત્યારે એક નવો કિસ્સો સામે આવ્યો છે. અને 15 લાખની ચોરી થઈ ગઈ છે. ઘાટલોડીયા વિસ્તારમાં રહેતા લોકગાયક ધનરાજ ગઢવીએ તેમનું ઘર વેચી દેતાં બાના પેટે આવેલા રૂપિયાની ઘરમાંથી ચોરી થઈ ગઈ.
ધનરાજ ગઢવીના ઘરે ચોરી
15 લાખ રૂપિયા ચોરાયા
ધનરાજભાઇએ પૈસા તિજોરીમાં મૂક્યા હતા
શહેરના ઘાટલોડિયામાં રહેતા લોકગાયકના ઘરમાંથી કોઈ પંદર લાખ રૂપિયાની ચોરી કરી નાસી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. લોકગાયકે તેમનું ઘર વેચી દેતાં તેના બાના પેટે આવેલા પંદર લાખ રૂપિયા તિજોરીમાં મૂક્યા હતા.
ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ શિલ્પવિલા એપાર્ટમેન્ટમાં રહેતા અને લોકગાયક ધનરાજભાઈ ગઢવીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ૧પ લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ કરી છે. ધનરાજભાઈનો દીકરો પત્ની સાથે નરોડા ખાતે ભાડાના મકાનમાં રહે છે અને ધનરાજભાઈ પત્નીના અવસાન બાદ એકલા જ ઘરે રહે છે. ધનરાજભાઈએ ઘાટલોડિયામાં રહેલ ઘર વેચવા માટે જુદી જુદી વ્યક્તિઓ સાથે વાત કરી હતી.
જેથી રાયપુરમાં રહેતા મુકેશભાઈ કાલાણી ધનરાજભાઈનું મકાન બે મહિના પહેલાં જોવા માટે આવ્યા હતા. ત્યારબાદ મુકેશભાઈને મકાન પસંદ આવતાં ધનરાજભાઈએ ઘર ૩ર.૭પ લાખ રૂપિયામાં આપવાનું કહ્યું હતું. તે પછી મુકેશભાઈએ ધનરાજભાઈ સાથે મકાનનો સોદો નક્કી કરતાં બાના પેટે પહેલાં પંદર લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ૧૦ ફેબ્રુઆરીએ મૂકેશભાઇએ રૂ. ૧૫ લાખ આપ્યા હતા, જે ધનરાજભાઇએ તિજોરીમાં મૂક્યા હતા.
મુકેશભાઈએ ધનરાજભાઈને રાયપુર બાનાખત કરાર કરી આપવા માટે બોલાવ્યા હતા, જેથી ધનરાજભાઈ અને હરિભાઈ બંને ત્યાં ગયા હતા. સાંજે ઘરે પરત આવી બાનાખતની ઝેરોક્સ તિજોરી ખોલીને અંદર મૂકી ત્યારે રૂપિયા ભરેલી થેલી તિજોરીમાં હતી. ધનરાજભાઈએ ર૯ ફેબ્રુઆરી, ર૦ર૦ના રોજ સવારે તિજોરી ખોલીને જોયું તો પંદર લાખ રૂપિયા ભરેલી પ્લાસ્ટિકની થેલી તિજોરીમાં નહોતી તેથી તેમણે ફરિયાદ નોંધાવી હતી.