CMIEના રિપોર્ટના અનુસાર ઓગસ્ટ મહિનામાં ઔપચારિક અને અનૌપચારિક બંને રીતે લગભગ 15 લાખથી વધુ લોકો બેરોજગાર બન્યા છે.
CMIEના આંકડાથી થયો ચોંકાવનારો ખુલાસો
લગભગ 15 લાખથી વધુ લોકો બેરોજગાર બન્યા
ઓગસ્ટ મહિનાનો ચોંકાવનારો રિપોર્ટ
દેશમાં બેરોજગારીનો દર ઓગસ્ટ મહિનામાં ફરીથી એકવાર વધ્યો છે. દેશમાં બેરોજગારીને લઈને સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી એટલે કે (CMIE)એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટના આધારે ઓગસ્ટ મહિનામાં ઔપચારિક અને અનૌપચારિક બંને રીતે લગભગ 15 લાખથી વધુ લોકો બેરોજગાર બન્યા છે. CMIEના આંકડા કહે છે કે જુલાઈમાં કાર્યરત લોકોની સંખ્યા 399.38 મિલિયનથી ઘટીને ઓગસ્ટમાં 397.78 મિલિયન થઈ છે. આ એક મહિનામાં ફક્ત ગ્રામીણ ભારતમાં 13 લાખ લોકોની નોકરી છીનવાઈ છે.
ઓગસ્ટ મહિનામાં બેરોજગારી દર 8.32 ટકા રહ્યો
CMIEના આંકડા કહે છે કે દેશમાં ઓગસ્ટ મહિનામાં બેરોજગારી દર 8.32 ટકા રહ્યો છે જ્યારે જુલાઈમાં બેરોજગારી દર 6.95 ટકા હતો. ઓગસ્ટમાં શહેરી બેરોજગારી દર લગભગ 1.5 ટકા વધીને 9.78 ટકા થયો. જુલાઈમાં દેશમાં શહેરી બેરોજગારી દર 8.3 ટકા જોવા મળ્યો હતો. આ જૂનમાં 10.07 ટકા, મે મહિનામાં 14.73 ટકા અને એપ્રિલમાં 9.78 ટકા હતો. માર્ચમાં કોરોના સંક્રમણની બીજી લહેર આવ્યા પહેલા શહેરી બેરોજગારી દર 7.27 ટકા રહ્યો હતો.
ગ્રામીણ બેરોજગારી દરમાં ઓગસ્ટમાં 1.3 ટકાનો વધારો થતા 7.64 ટકા થયો
આ રીતે દેશમાં ગ્રામીણ બેરોજગારી દર ઓગસ્ટમાં 1.3 ટકા વધીને 7.64 ટકા રહ્યો હતો. જુલાઈમાં આ 6.34 ટકા હતો. CMIEના આંકડા કહે છે કે જુલાઈમાં જ્યાં લગભગ 3 કરોડ લોકો કામની શોધમાં હતા તો ઓગસ્ટમાં 3.6 કરોડ લોકો કામ શોધતા જોવા મળ્યા છે.