સત્તા એવી વસ્તુ છે કે જેનો સ્વાદ એક વખત ચાખ્યા બાદ રહી શકાતું નથી. રાજનીતિમાં આવ્યા બાદ માણસ હંમેશા સત્તાની લાલચમાં રચ્યો પચ્યો રહેતો હોય છે. તેથી જ તેને કોઈ પક્ષના નીતિ-નિયમો કે પછી આદર્શો લાગુ પડતા નથી. તેને જ્યાં ખુરશી દેખાય ત્યાં જતો રહે છે. બસ આવુ જ કંઈક વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પછી જોવા મળ્યું. 2014 બાદ 15 ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપ સામેલ થયા. પરંતુ તેમાંથી માત્ર થોડા ગણાંને જ ફાયદો થયો. જ્યારે બાકીના ભાજપના મોવડી મંડળ પાસે આંટાફેરા મારે છે.
મોદીને ગુજરાતની જનતાએ ખોબલે ખોબલે મત આપ્યા
2014માં સ્પષ્ટ બહૂમતિ સાથે કેન્દ્રમાં ભાજપની સત્તા આવી. ગુજરાતનો વતની હોવાને કારણે નરેન્દ્ર મોદીને ગુજરાતની જનતાએ ખોબલે ખોબલે મત આપ્યા. પ્રધાનમંત્રીની ખુરશી સુધી પહોંચાડવા 26માંથી 26 લોકસભા બેઠકો અર્પણ કરી દીધી હતી. મોદીએ પ્રધાનમંત્રી બની ગયા. પરંતુ ત્યારબાદ શરૂ થયો કોંગ્રેસના ધારાસભ્યોનો ભાજપ શરણમ ગચ્છામી ખેલ. એક પછી એક 15 ધારાસભ્ય કોંગ્રેસને બાય બાય કહી ભાજપમાં સામિલ થઈ ગયા. પરંતુ તેમાંથી સૌથી વધુ ફાયદો થયો માત્ર કુંવરજી બાવળિયાને. કુંવરજી રાજ્ય સરકારમાં હાલ કેબિનેટ મંત્રી છે. જ્યારે બાકીના ધારાસભ્યોમાં હકુભા જાડેજા અને સી.કે.રાઉલજી સિવાય કોઈ ધારાસભ્ય પણ બની શક્યું નથી.
લોકસભા ચૂંટણીના રણટંકાર વચ્ચે કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરવાની સિઝન જાણે પુનઃ શરૂ થઈ છે. માણાવદરના કોંગ્રેસી ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં સામિલ થઈ ગયા. તો ધ્રાંગધ્રાના પરસોત્તમ સાબરિયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું. પરંતુ 2014 બાદ જે લોકોએ મોટા ઉપાડે કોંગ્રેસ છોડી તેમાંથી માત્ર ગણ્યાગાંઠ્યાનું જ કદ વધ્યું. બાકીના ઉંધા માથે પટકાયા છે. તેમ કહીએ તો ખોટું નથી. કુંવરજી બાવળિયા કોળી સમાજના પ્રભુત્વને કારણે કેબિનેટ મંત્રી બની ગયા.
સી.કે.રાઉલજી અને હકૂભા જાડેજા ભાજપની ટિકિટ પર વિજેતા બન્યા
તો જામનગરના ધર્મેન્દ્ર જાડેજા ઉર્ફે હકુભા જાડેજા કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા અને ભાજપની ટિકિટ પર ફરી ધારાસભ્ય બન્યા. આવુ જ કંઈક ગોધરાના સી.કે.રાઉલજી સાથે થયું. રાઉલજી પણ ભાજપની ટિકિટ પર ચૂંટાયા. જ્યારે સિદ્ધપુરના બળવંતસિંહ રાજપૂતને તો ટિકિટ જ ન મળી પરંતુ તેમને હાલ ઔદ્યોગિક નિગમમાં ચેરમને બનાવી બેસાડી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ભાજપના મોવડી મંડળ પાસે પદ માટે આંટાફેરા મારે છે. મોટી આશાએ ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના સંગઠનના હોદ્દેદારો કે અન્ય દિગ્ગજ નેતાઓ પણ વળતરની અપેક્ષા રાખીને બેઠા છે. પરંતુ તેમને કોઈ જ કંઈ પુછતું નથી.
2014 બાદ કોંગ્રેસમાંથી 15 ધારાસભ્યએ આપ્યા રાજીનામાં
2014થી 2019 વચ્ચે કુલ 15 કોંગ્રેસી ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. તેમાં ધ્રાંગધ્રાના પરસોત્તમ સાબરિયા, માણાવદરના જવાહર ચાવડા, ઊંઝાના ડૉક્ટર આશા પટેલ, જસદણના કુંવરજી બાવળિયા, વિરમગામના ડૉક્ટર તેજશ્રી પટેલ, સિદ્ધપુરના બળવંતસિંહ રાજપૂત, જામનગરના રાઘવજી પટેલ, સાણંદના કરમશી પટેલ, ગોધરાના સી.કે.રાઉલજી, માણસાના અમિત ચૌધરી, ઠાસરાના રામસિંહ પરમાર, અબડાસાના છબીલ પટેલ, જામનગરના ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિજાપુરના પી.આઈ.પટેલ અને બાલાસિનોરના માનસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે.
જેટલા કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં ગયા તેમાંથી માત્ર ગણ્યાગાંઠ્યાને જ ફાયદો થયો છે. પરંતુ કેટલાક ભાજપમાં આવ્યા પરંતુ ભાજપે તેમને તો ટિકિટ ન આપી પરંતુ તેમના પુત્રને ટિકિટ આપી હતી. તેમાંના એક હતા સાણંદના કરમશી પટેલના પુત્ર કનુ પટેલ કે જેઓ 2017માં ભાજપની ટિકિટ પર વિજેતા બન્યા હતા.