નિકોલ રિંગરોડ પર આવેલ રિવાજ પાર્ટી પ્લોટમાં યોજાયેલ રિસેપ્શનમાં સગાંવહાલાં અને સ્નેહીમિત્રોએ આપેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી રૂ. 1.45 લાખની કિંમતની મતાની કોઇ ગઠિયો ઉઠાંતરી કરી પલાયન થઇ જતાં ચકચાર મચી જવા પામી હતી.
દહેગામ ખાતે આવેલ સૂર્યકેતુ વિલા બંગલોઝમાં રહેતા કિંજલભાઈ રાવલનાં લગ્નનું રિસેપ્શન નિકોલ રિંગરોડ પર આવેલ રિવાજ પાર્ટી પ્લોટમાં યોજાયું હતું. ભેટસોગાદો રિસેપ્શનના સ્ટેજ પર એક સ્થળે પાકીટમાં મૂકી રાખી હતી. એક તરફ લગ્નની સૌ મજા માણી રહ્યાં હતાં.
1.45 લાખની મત્તા લઇ ગઠીયો રફુચક્કર
આ વખતે કોઈ ચાલાક ગઠિયો પણ આવી ગયો હતો અને કોઈનું ધ્યાન ન જાય તે રીતે આ ભેટસોગાદો તથા દાગીના રૂ.40,000 તેમજ એક લાખની રોકડ રકમ મળીને કુલ રૂ.1.45 લાખની મતાની કોઇક ગિઠયો સૌની નજર ચૂકવીને ચોરી કરી પલાયન થઇ ગયો હતો.
નિકોલ પોલીસ સ્ટેશને નોંધાઇ ફરિયાદ
આ અંગે જાણ થતાં લગ્ન મંડપમાં દોડધામ મચી ગઈ હતી અને સૌ કોઈ ભેટસોગાદો શોધવામાં લાગી ગયાં હતાં. પાકીટ ન મળતાં છેવટે આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.