દેશભરમાં પ્રસિદ્ધ લોકભારતી સણોસરાના 144 શિક્ષક તાલીમાર્થીઓ ગીર નેસમાં રહેતા ભુલકાઓને શિક્ષણનું મહત્વ સમજાવી તેને કેમ સરળ કરી શકાય તે સમજાવી રહ્યાં છે. શિક્ષણ માટે શહેરોની ઘેલછા સામે ચાંપરડા અને સણોસરાની સંસ્થાઓ દ્વારા ગીરના નેસડામાં વંદનીય કાર્ય થઈ રહ્યું છે.
ચાંપરડા અને સણોસરાની સંસ્થાઓ દ્વારા ગીરના નેસડામાં વંદનીય કાર્ય
અંધારપટ નેસડામાં 'નેસ વિદ્યા ઉત્સવ'નું આયોજન
144 શિક્ષક તાલીમાર્થીઓએ એક પખવાડિયા માટે ગીરમાં નાખ્યા છે ધામા
નેસડાઓમાં રહેતા ભૂલકાંઓને સમજાવી રહ્યા છે શિક્ષણનું મહત્વ
વિસાવદર તાલુકાના ચાંપરડા ગામે શિક્ષણ, આરોગ્ય અને ગ્રામવિકાસની સાથેની સેવાની ધૂણી ધખાવતા મુક્તાનંદજી મહારાજની પ્રેરણાથી અને આનંદધારા પ્રોજેક્ટના નિયામક ડો.નલીન પંડિતના માર્ગદર્શનમાં નવતર "નેસ વિદ્યા ઉત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. જે ગત 17મી જાન્યુઆરીથી શરૂ થઈ ચૂક્યો છે. જે આગામી 30 જાન્યુઆરી સુધી ચાલશે.
144 જેટલા શિક્ષક તાલીમાર્થીઓએ ગીરમાં નાખ્યા ધામા
આ અંતર્ગત સણોસરાની સુપ્રસિદ્ધ સંસ્થા લોકભારતી અધ્યાપન મંદિરના 144 જેટલા શિક્ષક તાલીમાર્થીઓએ એક પખવાડિયા માટે ગીરમાં ધામા નાખ્યા છે અને શિક્ષણ યજ્ઞ આદર્યો છે. તેમના દ્વારા જૂનાગઢ જિલ્લામાં આવેલા જંગલ વિસ્તારમાં આવેલ નેસડાઓમાં રહેતા ભૂલકાંઓને શિક્ષણ અને ટેક્નોલોજી સાથે અભ્યાસ કરવાની તક મળે તેમજ શાળાઓની પ્રવૃતિઓ કેવી હોવી જોઈએ, વિદ્યાર્થીઓએ શાળામાં શું કરવું જોઈએ તેનાથી લઇ રમતગમત અને યોગ સુધીનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
શિક્ષક તાલીમાર્થીઓની ખૂબ જ પ્રશંસનીય કામગીરી
આ સાથે શિક્ષક તાલીમાર્થીઓ નેસડામાં વસતા માલધારી પરિવારો સાથે મુલાકાત કરી રહ્યા છે અને વ્યવસ્થાના અભાવે શાળાએ ન જઇ શકતા ભૂલકાઓને શોધી તેઓ શિક્ષણમાં રુચિ લેતા થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ 144 જેટલા શિક્ષક તાલીમાર્થીઓ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે.
નેસમાં નથી પાકા રસ્તા
ગીરમાં નેસની એક અલગ સંસ્કૃતિ છે. સાવજ જોયા, ગીર જોયું, પણ જો ત્યાંના નેસ ન જોયા તો મુલાકાત અધૂરી ગણાય. હાલ ઈસ્ટ અને વેસ્ટ બંને સાઈડમાં 70 જેટલી નેસ છે. દરેક નેસની એક અલગ ખાસિયત છે. તેમાંથી શિક્ષણ વિભાગની અનેક યોજનાઓ થકી 25 નેસમાં શિક્ષણ ચાલી રહ્યું છે. આનંદધારા વિદ્યા યજ્ઞ, સરકારના સાથમાં વધુ નેસને વધુ નેસ સુધી પહોંચવા હનુમાન કૂદકો મારવા તત્પર છે. નેસમાં નથી પાકા રસ્તા. કેટલાયમાં તો લાઈટ પણ નથી. ગીર નેસ એટલે જ્યાં કોઈ સુવિધા નથી. માટે જ મહત્તમ નેસમાં TV નથી. લાઇટ નથી. મોબાઈલ ચાર્જર નથી.
અહીં ચાલી રહ્યો છે 'નેસ વિદ્યા ઉત્સવ'
આ 70 નેસ વિસ્તારમાં 'નેસ વિદ્યા ઉત્સવ' ચાલી રહ્યો છે. જેમાં ગીરમાં નેસડાઓમાં આવેલી શાળાઓમાં જે બાળકો પહોંચી નથી શક્યા તે ભૂલકાઓને શોધીને તેમાં રહેલા કૌશલ્યને શોધવાનો પ્રયાસ કરવા માટે અને અહીંની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પણ શિક્ષણનો અભિગમ સમજાય તે માટે આ કાર્યક્રમ હાથ ધરાયો છે. લોકભારતી સણોસરા સંસ્થાના તાલીમી શિક્ષકો નેસવિસ્તારમાં શિક્ષણ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે.