હાલમાં જ રાજસ્થાનમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં કથિત રીતે માટલામાંથી પાણી પીવા બદલ દલિત બાળકને નિર્દયતાપૂર્વક મારીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી, ત્યારે હવે યુપીમાંથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
યુપીના શ્રાવસ્તી જિલ્લામાંથી દલિત અત્યાચારનો કિસ્સો સામે આવ્યો
એક પ્રાઈવેટ સ્કૂલમાં ફક્ત 250 રૂપિયા ફી નહીં ભરવાના કારણે સગીર વયના એક દલિત વિદ્યાર્થીને ઢોર માર મારીને પતાવી દેવામાં આવ્યો હતો. આ ઘટના ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લાની છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, મેડિકલ કોલેજ બહરાઈચમાં 10 દિવસ સુધી સારવાર લીધા બાદ આખરે વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. તો વળી પરિવારના લોકોએ ટિચર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે વિરોધ પ્રદર્શન કર્યા હતા. જે બાદ આરોપી શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી હતી.
પોલીસ અધિકારી અરવિંદ કુમાર મૌર્યએ કહ્યું હતું કે, એક વિદ્યાર્થીના મોતની ખબર મળી હતી. મૃતકના કાકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં કહેવાયુ હતું કે, વિદ્યાર્થીને સ્કૂલમાં મારપીટ કરવામાં આવી હતી. આ મામલામાં કેસ નોંધી લેવામા આવ્યો છે અને કાયદાકીય રીતે કાર્યવાહી થઈ રહી છે.
14 વર્ષનો દલિત વિદ્યાર્થી પ્રાઈવેટ સ્કૂલમાં ભણતો હતો, શિક્ષક અનુપમ પાઠકે 08 ઓગસ્ટના રોજ તેને ઢોર માર માર્યો હતો, કારણ કે તેણે ફક્ત 250 રૂપિયા ફી સમયસર ભરી નહોતી. જો કે, બીજા દિવસે તેના ભાઈએ બે મહિનાની ફી ઓનલાઈન ભરી દીધી હતી. પણ ત્યાં સુધીમાં ખૂબ મોડુ થઈ ચુક્યું હતું. ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને બહરાઈચ મેડિકલમાં સારવાર માટે લાવવામાં આવ્યો અને ત્યાં સારવાર દરમિયાન 18 ઓગસ્ટના રોજ તેનું મોત થઈ ગયું હતું.
મૃતક વિદ્યાર્થીના ભાઈ રાજેશ કુમારે જણાવ્યું છે કે, મારો ભાઈ ભણવા માટે શાળાએ ગયો હતો. જ્યાં શિક્ષકે ફી માટે તેને માર્યો હતો. ત્રણ ચાર દિવસ અમે મોડી ફી આપી હતી. તેમણે મારા ભાઈને ટોર્ચર કર્યો અને ફી લઈને જ શાળાએ આવવા ધમકી આપી, અમારી પાસે તે સમયે ઘરમાં રૂપિયા નહોતા. તેણે ઘરે આવીને મને જણાવ્યું કે, પૈસા માટે મને માર્યો. મેં પ્રિન્સિપાલને વાત કરી અને ઓનલાઈન પેમેન્ટ મોકલી દીધું. 250 રૂપિયા ફી હતી, જે બાદ મેં બે મહિનાની ફી ચુકવી દીધી હતી.