મહારાષ્ટ્રના ખેડૂત દ્વારા ગુજરાતના આદિવાસી વિસ્તારના 14 જેટલાં મજૂરોને ગોંધી રખાયાની એક EXCLUSIVE ઘટના VTVના ધ્યાને આવી છે. જે અંગે હવે ખુદ કલેક્ટરે તપાસ હાથ ધરવાની બાંહેધરી આપી છે.
ગુજરાતના 14 આદિવાસી બંધક શ્રમિકો મહારાષ્ટ્રમાં કેદ!
સ્વજનોએ ગુજરાત સરકાર પાસે લગાવી મદદની ગુહાર
ગામના ભૂતપૂર્વ સરપંચે VTV પર કર્યો EXCLUSIVE ખુલાસો
રોજગારી માટે મહારાષ્ટ્ર ગયેલા ડાંગ જિલ્લાના મોટા માળુંગા ગામના 14 જેટલા શ્રમિકોને મહારાષ્ટ્રના એક ખેડૂતે કથિત રીતે છેલ્લા બે-ત્રણ મહિનાથી કેદ કરીને ગોંધી રાખ્યા છે. આથી આ બંધક શ્રમિકોના સગા-સંબંધીઓએ પોતાના સ્વજનોને બચાવવા ગુજરાત સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે.
ખેડૂત પાસે મજુરીના રૂપિયા 7 લાખ ઉપાડ લઈ લેબર કોન્ટ્રાકટર પલાયન
આ મામલે માનમોડી ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ સરપંચ નગિન ગાવિતે VTV સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે, "થોડા મહિનાઓ પહેલા મોટા માળુંગાના 14 જેટલાં બંધક શ્રમિકોને એક લેબર કોન્ટ્રાક્ટર મહારાષ્ટ્રના તમખેડા પવાર વાડી ગામમાં કૃષિ કામ માટે લઈ ગયો હતો. દરમ્યાન આ લેબર કોન્ટ્રાક્ટરે વેતનના નામે ખેડૂત પાસેથી રૂપિયા 7 લાખ એડવાન્સ લઇ લીધા હતા. જોકે આ લેબર કોન્ટ્રાક્ટર ન તો ગામમાં પરત ફર્યો કે ન તો તેને ખેડૂતને એડવાન્સ પૈસા પરત આપ્યા. એટલે કે મજૂરીએ લઈ જનાર લેબર કોન્ટ્રાકટર મજૂરીના ઉપાડ લઈને પલાયન થઇ ગયો.'
વધુમાં નગિન ગાવિતે જણાવ્યું કે, 'છેલ્લાં બે મહિનાથી કેદ થયેલા શ્રમિક સુનિલ વાઘમારે, ઉશીબેન, મોહનભાઈ તેમજ અન્ય લોકો ગામમાં પોતાના સંબંધીઓને ફોન કરીને પોતાની આપવીતી સંભળાવે છે. તેઓએ પરિવારના સભ્યોને તો એટલે સુધી જણાવ્યું કે, ખેડૂત યોગેશ રૂપિયા 7 લાખ મેળવવા માટે અમને અમારી કિડની વેચવાની ધમકી આપી રહ્યો છે.' આથી ફસાયેલા શ્રમિકોના નાના-નાના બાળકો અને વૃદ્ધ માતા-પિતા પણ ચિંતામાં મૂકાયા છે. નાના બાળકો અને વૃદ્ધ માતા-પિતા અડધા દિવસે ભૂખ્યા સૂઈ જવા માટે મજબુર બન્યા છે. ગામના આગેવાન પણ પોલીસની મદદથી બંધકોને પરત લાવવા મહામહેનત કરી રહ્યાં છે.
VTVએ ફોન કર્યો ત્યારે તેના પરિવારની એક મહિલા સભ્યએ ફોન ઉપાડ્યો અને કહ્યું
તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રના ખેડૂત યોગેશનું નિવેદન લેવા માટે જ્યારે ફોન લગાવવામાં આવ્યો ત્યારે તેની સાથે વાતચીત થઇ શકી નહીં. પરંતુ જ્યારે VTVએ તેના સેલ નંબર પર ફોન કર્યો ત્યારે તેના પરિવારની એક મહિલા સભ્યએ ફોન ઉપાડ્યો. તે મહિલા સભ્યએ ફોન પર નિવેદન આપતા કહ્યું કે, "યોગેશ તેનો સેલ ફોન ઘરે મૂકીને બહાર ગયો છે."
અધિક જિલ્લા કલેક્ટર હવે આ સમગ્ર ઘટનાની તપાસ કરાવશે
આ મામલે ડાંગના અધિક જિલ્લા કલેક્ટર પદમરાજ ગામીતે જણાવ્યું કે, "બંધક શ્રમિકોના પરિવારજનોએ તેમને અથવા તો અધિકારીઓને આ મામલે કોઇ ફરિયાદ નથી કરી. પરંતુ તેમને મીડિયા દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો વિશે જાણ થઈ છે. ત્યારે હવે તેઓ આ સમગ્ર ઘટનાની તપાસ કરાવશે અને તેઓને મુક્ત કરાવવા માટે જે-તે સંબંધિત અધિકારીઓ સાથે વાત પણ કરશે." બીજી બાજુ સ્થાનિક આગેવાનોએ આ મામલે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે. આથી હાલમાં આ સમગ્ર મામલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.