મહારાષ્ટ્રમાં 4 લાખ 80 હજારને પાર થયા છે કોરોનાના કેસ ત્યારે હવે BMC દ્વારા કોરોના પર કાબૂ મેળવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) તરફથી એવું કહેવામાં આવ્યું છે કે ડોમેસ્ટિક ફ્લાઇટ દ્વારા મુંબઇ આવતા તમામ મુસાફરોને 14 દિવસ હોમ આઈસોલેશનમાં રહેવું પડશે.
કોરોનાને લઇને BMCએ કર્યો નિર્ણય
ડોમેસ્ટિક ફ્લાઇટના મુસાફરોને લઇને નિયમોમાં ફેરફાર
મુસાફરોને 14 દિવસ હોમ આઈસોલેશનમાં રહેવું પડશે
કોરોના વાયરસનું સંક્રમણ વધતા જતા અને કેસોને ધ્યાનમાં રાખીને, BMCએ મોટો નિર્ણય લીધો છે. BMCએ મુંબઇ આવતા લોકો માટે હોમ આઈસોલેશન અને ક્વોરન્ટાઈનના નિયમોમાં ફેરફાર કર્યા છે. BMC તરફથી એવું કહેવામાં આવ્યું છે કે ઘરેલું વિમાન દ્વારા મુંબઇ આવતા તમામ મુસાફરોને 14 દિવસ હોમ આઈસોલેશનમાં રોકાવું પડશે.
કેમ લેવાયો આ નિર્ણય?
જો કે મુંબઈ આવનારા મુસાફરોને 14 દિવસના ક્વોરન્ટાઈનમાં મોકલવા પાછળનું કારણ એ છે કે મહારાષ્ટ્ર સરકાર દલીલ કરે છે કે આ કોરોના વાયરસના ઝડપથી થતા પ્રસારને અટકાવશે. પરંતુ બીજી બાજુ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં સીબીઆઈ તપાસ સાથે જોડીને BMC ના આ નિર્ણયને લોકો પણ જોઈ રહ્યા છે. તેઓ કહે છે કે BMCએ સીબીઆઈ તપાસને લટકાવવા માટે મહારાષ્ટ્ર સરકાર વતી 14 દિવસનું ક્વોરેન્ટાઇન ફરજિયાત કર્યુ છે.
જોકે, BMCએ તેના આદેશમાં એમ પણ કહ્યું છે કે, જો કોઈ સરકારી અધિકારી અથવા કર્મચારી સરકારી કામથી આવવા માંગે છે, તો તેઓએ BMCને તેમની મુસાફરીની જાણકારી બે દિવસ પહેલા જ આપવી પડશે.
આપને જણાવી દઈએ કે તાજેતરમાં, જુદા જુદા રાજ્યોથી ફ્લાઇટ દ્વારા ઉત્તરાખંડ પહોંચનારા તમામ લોકોના એરપોર્ટ પર કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, કોવિડના કન્ટેઈનમેન્ટ ઝોન શહેરોમાંથી જે પણ આવે છે તેની રાજ્યની સીમાઓ પર પરીક્ષણ કરવામાં આવશે. કોરોના પરીક્ષણ પછી, બધા લોકોને સંસ્થાગત ક્વૉરન્ટાઈન કરવામાં આવી રહ્યાં છે. જો કે, વૃદ્ધ વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ અને દસ વર્ષથી નાના બાળકોને રાહત આપવામાં આવી છે. તેઓને હોમ ક્વૉરન્ટાઈન રખાશે.