એક તરફ જમીનો ઓછી થઈ રહી છે. જંગલો સંકોચાઈ રહ્યા છે ત્યારે વન્ય પશુઓ અને પ્રાણીઓ માનવ વસતીથી વધુને વધુ નજીક આવી રહ્યા છે એવામાં આરક્ષિત પ્રાણીઓનો પણ ખુલ્લેઆમ શિકાર અને તેમના અંગ ઉપાંગોના વેચાણનો વેપલો તો જાણે આમ વાત છે. જામનગરમાં અરેરાટી ફેલાવી દે એવો કિસ્સો સામે આવ્યો છે. કાળિયાર સહિતના આરક્ષિત પ્રાણીઓને મારીને તેમના ચામડા અને બીજા ભાગનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે વેચાણ કરતુ રેકેટ પકડાયુ છે. વળી આવા પ્રાણીઓના શિકારીઓને કેવી સજા મળે છે તેનું ઉદાહરણ બીજુ કોઈ નહી પણ ખુદ સલમાનખાનનો કેસ છે.
છેલ્લા દસ વર્ષમાં કેટલા કાળિયારનો શિકાર થયો
વિદેશમાં મોકલાય છે કાળિયારના અંગો
તાંત્રિક વિધિ માટે વેચાય છે કાળિયારના અંગ-ઉપાંગો
ગુજરાતમાં વન્યપશુ-પક્ષીઓનો જે કુદરતી વારસો છે તેના જતન કરતા નવા આર્ટીફિશ્યલ ગાર્ડન અને સાઈટસીન ઉભા કરવામાં વ્યસ્ત ગુજરાત સરકાર આરક્ષિત પશુઓના રક્ષણને મામલે કાયમ મોરી પુરવાર થઈ છે. અરે ઘણા કિસ્સામાં તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને શિકારીઓની ટોળકીની મિલિભગત આવા વન્ય પશુઓને મોતને ઘાટ ઉતારીને તેમનો વેપાર કરતી હોવાનું પણ જાણવા મળે છે. વળી ભૂમાફિયાઓને વિકાસને નામે કરોડોની જમીન પાણીના ભાવે પધરાવી દેનારી સરકાર ખરેખર વિકાસ કરી રહી છે કે વિનાશ એવા પણ પ્રશ્નો સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. વળી આ મામલે થતા કાનૂની કેસ વર્ષો સુધી ચાલે જ રાખે છે જેનું ઉદાહરણ છે સલમાનખાનનો કેસ.
ધોરાજીના પાનેલીમાં પકડાયા શિકારી
ધોરાજી નજીક પાનેલી પંથકમાંથી હરણનો શિકાર કરી જામનગરમાં તાંત્રિક વિધિ માટે ચામડું વેંચવા આવેલી શિકારી ટોળકીના આઠ શખસોને દબોચી લઈ વન વિભાગે આઠેયની રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ રેકેટ આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય પણ હોવાની શંકા તંત્રે એ દાખવી આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.
તાંત્રિક વિધિ માટે વેચાય છે કાળિયારના અંગ ઉપાંગો
પાનેલી પંથકમાં કાળિયારનો શિકાર કરી આ કિંમતી ચામડાંને તેમજ અન્ય ચીજ વસ્તુઓને જામનગર તાંત્રિક વિધિ માટે વેંચવા આવેલાં આઠ શખસોને વન વિભાગે દબોચ્યા છે. જેમાં ચાર શખસો જામનગર શહેરના હોવાનું અને બાકીના અન્ય શખસો પાનેલી પંથકના હોવાનું બહાર આવ્યું છે.
છેલ્લા દસ વર્ષમાં કેટલા કાળિયારનો શિકાર થયો
139 કાળિયાર છેલ્લા દસ વર્ષમાં મૃત્યુ પામ્યા છે. વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો દ્વારા પર્યાવરણ અને જંગલ મંત્રાલય દ્વારા મળતા આંકડા મુજબ મધ્યપ્રદેશમાંથી 31 કાળિયાર, મહારષ્ટ્રમાં 21, રાજસ્થાનમાં 12, કર્ણાટકમાં 25, આંધ્રપ્રદેશમાં 10, હરિયાણામાં 4, પંજાબમાં 1, ઉત્તરપ્રદેશમાં 24, ઓડિસામાં 3, તેલંગણામાં 2, દિલ્હીમાં 1, તમિલનાડુમાં 1 અને ગુજરાતમાં 4 કાળિયારના શિકાર થયા હતા. આ માહિતી વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 અંતર્ગત નોંધવામાં આવી છે. પણ આતો નોંધાયેલા કેસ છે જેનો બારોબાર વહિવટ થઈ જાય છે એવા તો કેટલાય કાળા હરણ અત્યારસુધીમાં વિદેશ ભેગા થઈ ગયા હશે.