રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના પ્રથમ દિવસે 137 લોકો ગુમાવ્યા હોવાનો દાવો યુક્રેનના રાષ્ટ્રપતિ zelensky એ દાવો કર્યો છે. બીજી તરફ રશિયાએ ચર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો કરી લેતા ચિંતા વધી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆત
પ્રથમ દિવસની લડાઈમાં જ 137 લોકોનાં મોત
રશિયનોનો પ્રથમ ટારગેટ હું જ: zelensky
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. રશિયાએ આકાશ અને જમીન બંને તરફથી યુક્રેન પર એટેક કર્યો છે.
પ્રથમ દિવસની લડાઈમાં જ 137 લોકોનાં મોત
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સ્કીએ પણ રશિયન હુમલાનો મુકાબલો કરવા માટે સમગ્ર સેના ઉતારી દીધી છે. જેલેન્સ્કીએ કહ્યું હતું કે પ્રથમ દિવસની લડાઈમાં જ 137 લોકોનાં મોત થયા છે.
તેમણે કહ્યું હતું કે, 'કીવમાં ઘૂસેલા રશિયનોનો પ્રથમ ટારગેટ હું જ છું. તેઓ મને મારીને દેશમાં અસ્થિરતા પેદા કરવા માગે છે. યુક્રેનને રશિયાની સાથે લડાઈમાં એકલું છોડી દેવાયું છે.'
જો કે યુક્રેન પર હુમલા પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને દુનિયાની સાથે અને ઘરઆંગણે પણ નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેન પર હુમલાના વિરોધમાં રશિયાના અનેક શહેરોમાં દેખાવકારોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. જેના પછી 1700 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ છે.
ચર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો
રશિયન સેનાએ યુક્રેન પર હુમલાની શરૂઆત કર્યા પછી ચર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો જમાવ્યો હોવાની જાણકારી યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના સલાહકાર મિખાઈલો પોડોલયાકે આપી હતી. તેમણે કહ્યું હતું કે રશિયનો દ્વારા વિનાકારણ થયેલા હુમલામાં ચર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સુરક્ષિત છે એમ કહેવું અશક્ય છે.
ઉલ્લેખનીય છે કે 1986માં ચર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટમાં લિકેજ થયું હતું અને મોટી જાનહાનિ સર્જાઈ હતી. અહીં પરમાણુ વિકિરણોની અસર હજુ પણ છે.
ભારત સરકાર એલર્ટ
રશિયા-યુક્રેન કટોકટી મામલે ભારત સરકાર એલર્ટ થઈ છે. આ મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ એક હાઈ લેવલ બેઠક બોલાવી હતી. બેઠકમાં યુક્રેન અને રશિયા વચ્ચેના વોર સંબંધિત ચર્ચા થઈ. આ બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ રાત્રે રશિયન પ્રેસિડન્ટ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત અંગે PMOએ માહિતી આપી છે.