UKમાં કોરોના વાયરસ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અહીં એક ૧૩ વર્ષના કિશોરને જેને કોઈ બીજો અન્ય રોગ ન હતો તેને કોરોના વાયરસ પોઝીટીવ આવ્યો હતો. આટલી નાની ઉંમરના આ કિશોરનું કોરોના વાયરસમાં અવસાન થઇ જતા હાહાકાર મચી જવા પામ્યો છે. UKનો કોઈ જ રોગ વિના કોરોનામાં મૃત્યુ પામનાર આ સૌથી નાની વયનો પેશન્ટ છે.
ઈસ્માઈલ મહોમ્મદ અબ્દુલવહાબ નામનો આ છોકરો લંડનની હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફની બીમારી સાથે દાખલ થયો હતો જેનું સોમવારે મોત નીપજ્યું હતું.
લંડનની મદીના કોલેજ દ્વારા ઓનલાઈન ફાળો ઉઘરાવીને આ છોકરાના પરિવાર માટે ૫૬૦૦૦ પાઉન્ડ એટલે કે ૫૩ લાખ રૂપિયા ફાળો ઉઘરાવવામાં આવ્યો છે.
આ ફાળો ઉઘરાવવાની નોંધમાં લખાયેલું છે કે ૧૩ વર્ષીય ઈસ્માઈલ કોઈ અન્ય રોગથી પીડાતો ન હોવા છતાં આટલી નાની ઉંમરે મૃત્યુ પામ્યો અને રોગ ચેપી હોવાને કારણે તેના પરિવારજનો તેના મૃત્યુના સમયે તેની આસપાસ હાજર પણ નહોતા. આ કિશોરના પિતા પણ કેન્સરના કારણે મૃત્યુ પામ્યા છે. તેની અંતિમ વિધિ માટે અને પરિવારને સપોર્ટ આપવા માટે દાન એકઠું કરવામાં આવ્યું હતું.
શાળામાં ભરતા આ કિશોરને ગયા અઠવાડિયાથી કોરોના વાયરસના લક્ષણો દેખાઈ રહ્યા હતા. તેનો કોરોના વાયરસ પોઝીટીવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ સામે આવતા તેને વેન્ટિલેટર ઉપર ખસેડવામાં આવ્યો હતો. થોડા સમયમાં તેની સ્થિતિ ન સુધારતા તે કોમામાં જતો રહ્યો હતો જેમાંથી તે સાજો ન થઇ શકતા તેનું મોત થયું હતું.
નોંધનીય છે કે લંડન હોસ્પિટલે આ સમાચાર માટે શોક વ્યક્ત કર્યો છે. તેઓ જણાવે છે કે તરુણ વયના દર્દીનું મોત ખૂબ આઘાતજનક છે કારણ કે મોટા ભાગે આ રોગમાં ઘરડા અને પહેલેથી આરોગ્યની સમસ્યા ધરાવતા લોકોની હાલત આ રોગમાં વધુ ગંભીર થાય છે.
આ કિશોરને ઉલ્લેખીને એ બાબત પણ ચર્ચવામાં આવી હતી કે પોતાની જાતને આ રોગથી સુરક્ષિત રાખવી અને social distancing કરવું કેટલું અગત્યનું છે.
નોંધનીય છે કે આજે જ UKમાં કોરોનાના પગલે થયેલી મોતના આંકડામાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે. ગઈ કાલે દેશમાં કોરોના પગલે એક જ દિવસમાં ૩૮૧ લોકોના મોત નીપજ્યા હતા.