કુદરતની અમૂલ્ય બક્ષિસ જેવી આ આંખો વગરનાં જીવનની કલ્પનાજ કઈ રીતે કઈ શકાય. આંખો ન હોય તો દુનિયા રંગવિહીન જ નહીં પરંતુ એક આખે આખું અંધકારનું સામ્રાજ્ય છવાઈ જતું હોય છે. તેનાં માટે અજવાળું કે અંધારું એક સમાન બની જાય છે. ત્યારે વિચારો તેમનું જીવન કેટલું કઠીન બની જતું હશે. અહીં વાત કરવી છે ભરૂચનાં એક એવા પરિવારની કે જેને વારસામાં કોઇ મિલ્કત નહીં પણ મળ્યો છે અંધાપો.
દરેક મનુષ્ય માટે આંખનું કેટલું મહત્વ હોય છે તે તો કોઈ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જ સારી રીતે સમજાવી શકે અને એમ પણ દ્રષ્ટિનું વરદાન જ મનુષ્યને પૂર્ણરૂપે સજીવ હોવાનો અહેસાસ કરાવે છે. પરતું કુદરતનું આ વરદાન દરેક મનુષ્યને મળેલું નથી હોતું. વિજ્ઞાનનાં આ જમાનામાં પણ સમાજનાં કેટલાંક લોકોને દ્રષ્ટિ વગર જ જીવવું પડે છે તેમની વેદના આપણને નરી આંખે ન જોઈ શકાય તેવી હોય છે. પણ જ્યારે પરિવારમાં કોઈ એકાદ વ્યક્તિને નહીં પરંતુ આખે આખા પરિવારને દ્રષ્ટિવિહીન સ્થિતિમાં જીવવાની મજબૂરી આવી પડે ત્યારે કેવી હાલાંકી વેઠવી પડતી હોય છે તે જોઈએ આ અહેવાલમાં.
કુદરતની અમૂલ્ય બક્ષિસ જેવી આ આંખો વગરનાં જીવનની કલ્પનાજ કઈ રીતે કઈ શકાય. આંખો ન હોય તો દુનિયા રંગવિહીન જ નહીં પરંતુ એક આખે આખું અંધકારનું સામ્રાજ્ય છવાઈ જતું હોય છે. તેનાં માટે અજવાળું કે અંધારું એક સમાન બની જાય છે. ત્યારે વિચારો તેમનું જીવન કેટલું કઠીન બની જતું હશે. અહીં વાત કરવી છે ભરૂચનાં એક એવા પરિવારની કે જેને વારસામાં કોઇ મિલ્કત નહીં પણ મળ્યો છે અંધાપો.
ભરૂચમાં જ વસતા એક એવા પરિવારનાં જેના ચારમાંથી ત્રણ સભ્યો નાનપણથી જ રતાંધળાપણાથી પીડાઈ રહ્યાં છે. ભરૂચનાં પીરકાંઠી વિસ્તારમાં રહેતા ગુલામ મુસ્તુફા ગુલામ રસુલ પોતે પ્રજ્ઞાચક્ષુ હતાં. જેઓ બે વર્ષ પૂર્વે જ જન્નતનશીન થયાં છે. તેમની પત્ની કુરેશાબીબી પણ બી.પી. અને મણકાની તકલીફથી પીડાય છે. આટલું દર્દ આપીને પણ જાણે કુદરત ન ધરાઈ હોય તેમ તેમનાં ત્રણેય પુત્ર મોહમદ મુનાફ ગુલામ મુસ્તુફા, મોહમદ મુબિન ગુલામ મુસ્તુફા અને તનવીર હુસેન ગુલામ મુસ્તુફાને પણ વારસામાં અંધાપો જ મળ્યો છે. એક જ પરિવારનાં આ ત્રણેય ભાઇઓ રતાંધળાપણાની બીમારીનો ભોગ બન્યાં છે.
વાત આ ત્રણ ભાઇઓથી નથી અટકતી પણ ગુલામ મુસ્તુફાનાં પરિવારમાં માતા અને પિતા પક્ષનાં 13 જેટલાં સભ્યો પણ રતાંધળાના રોગથી પીડિત છે. છતાં આ પરિવાર મહેનત કરી પેટીયું રળે છે. પરિવારનાં 42 વર્ષીય મુહમદ મુનાફ સમોસા અને ખમણની લારી ચલાવે છે. તેમનાં કામમાં તેમના પત્ની મદદ કરે છે. તેમને 2 બાળકો છે જે હાલ નોર્મલ છે અને અભ્યાસ કરે છે. બીજા સભ્ય 40 વર્ષીય મોહમદ મુબિન હાલમાં ઓર્થો મસાજ કરે છે અને ખિદમતે ખલક દ્વારા ચલાવતા ક્લાસમાં તાલીમ આપીને ગુજરાન ચલાવે છે.
38 વર્ષનાં તનવીર હુસેન પોતાના મમ્મી સાથે ચાદર અને કવર કટપીસ વેચવાનું કામ કરે છે. આ બધા સભ્યો એક સાથે ત્રણ રૂમ તથા રસોડાનાં ખૂબ જ નાના મકાનમાં રહે છે. જો કે, દિવ્યાંગો માટે સરકારની અનેક યોજનાઓ છે પરંતુ હકીકત એ છે કે, આવા દિવ્યાંગ નાગરિકોને સરકારી યોજનાનો લાભ મેળવવા માટે ખૂબ ઝઝૂમવું પડતું હોય છે.
ડોક્ટરનાં કહેવા મુજબ રતાંધ દર્દીઓને 12 થી 13 વર્ષની ઉંમર પછી ધીમે ધીમે અંધત્વની અસર શરૂ થઈ જાય છે. આ એક જિનેટીક સમસ્યા છે. જો કે તબીબોની સલાહ મુજબ કાળજી રાખવાથી આ બીમારીથી રાહત મેળવી શકાય છે. ત્યારે શું કહે છે આંખોનાં જાણીતા તબીબ આવો સાંભળીએ તેમની પાસેથી. આપણા સમાજમાં કુદરતી ખોડખાપણ ધરાવતી અનેક વ્યક્તિઓ કુદરતનાં આ પડકારને સ્વીકારીને પોતે દુનિયા કરતાં વધારે સક્ષમ હોવાની છાપ છોડતા હોય છે.
આ પરિવાર ભલે દ્રષ્ટિની બીમારીથી ગ્રસિત છે પરંતુ તેમ છતાં ખુદનું ભરણપોષણ કરવા માટે તેમણે ક્યારેય કોઈ સામે હાથ લાંબો કર્યો નથી. પોતાની રોજીરોટી તેઓ સ્વાભિમાન પૂર્વક રળી રહ્યાં છે. છતાં સમાજની એટલી તો જવાબદારી બને જ છે કે આવા દિવ્યાંગ લોકોનું જીવન સરળ કરી આપવા પોતે મદદનો હાથ લંબાવે.