સોમવારે અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપમાંથી રૂ. 51,600 કરોડથી વધુ ખાક, નુકશાનની ભરપાઇ માટે અદાણી ગ્રુપ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર
અદાણી ગ્રુપને વર્ષ 2023માં મોટું નુકશાન
એકઝાટકે Adani Groupના 10 લાખ કરોડ ખાક
હિંડનબર્ગના એક રિપોર્ટથી અદાણી ગ્રુપના શેર સતત ડાઉન!
અદાણી ગ્રુપને વર્ષ 2023માં મોટું નુકશાન થયું છે. જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં આવેલા હિંડનબર્ગ રિપોર્ટની અસર છેલ્લા બે કામકાજના સપ્તાહમાં પણ ઓછી થઈ નથી. અદાણી ગ્રુપ માર્કેટ કેપને સોમવાર સુધી 10 લાખ કરોડ રૂપિયા સુધીનું નુકસાન થયું છે. એકલા સોમવારે જ ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપમાંથી રૂ.51,600 કરોડથી વધુ ખાક થયા છે. આ તરફ હવે આ નુકશાનની ભરપાઇ માટે અદાણી ગ્રુપ દ્વારા એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, તાજેતરમાં MSCI એ ગ્રુપ કંપનીઓના વેઇટેજમાં ઘટાડો કર્યો છે અને મૂડીઝ તરફથી રેટિંગમાં પણ ઘટાડો કર્યો છે. આ સિવાય ગ્રૂપે તેની મૂડીમાં પણ ઘટાડો કર્યો છે. જેના કારણે સોમવારે અદાણી ગ્રુપની કંપનીઓમાં 5 થી 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અડધાથી વધુ કંપનીઓમાં 5 ટકાની નીચલી સર્કિટ ગઈ હતી.
ગ્રૂપનું માર્કેટ કેપ ઘટીને રૂ. 8.98 ટ્રિલિયન
સોમવારના ઘટાડાથી ગ્રૂપનું માર્કેટ કેપ ઘટીને રૂ. 8.98 ટ્રિલિયન થયું હતું, જે એક સમયે રૂ. 19 લાખ કરોડથી વધુ હતું. 24 જાન્યુઆરીએ અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને 13 ટ્રેડિંગ દિવસોમાં અદાણી ગ્રુપના માર્કેટ કેપમાંથી 10.2 ટ્રિલિયન રૂપિયા ખાક થઈ ગયા છે. આનો અર્થ એ થયો કે જૂથ 53 ટકા નીચે છે.
અદાણી ગ્રુપ દ્વારા કાયદાકીય કાર્યવાહી
અદાણીએ હિંડનબર્ગ રિપોર્ટમાં કરવામાં આવેલા આરોપોને પાયાવિહોણા અને વાહિયાત ગણાવ્યા છે. આ સાથે ગૌતમ અદાણીએ હિંડનબર્ગ સાથે કાયદાકીય લડાઈ માટે અમેરિકાની સૌથી મોટી લો ફર્મને પણ હાયર કરી છે. અદાણી ગ્રુપના પ્રવક્તા કહે છે કે, દરેક કંપનીની બેલેન્સ શીટ ખૂબ જ મજબૂત અને સ્વસ્થ હોય છે.
24 જાન્યુઆરી પછી કઈ કંપની કેટલી ડૂબી ?
અદાણી એન્ટરપ્રાઇઝ
50.11
અદાણી પોર્ટ અને સેઝ
27.29
અદાણી પાવર લિમિટેડ
43.2
અદાણી ટ્રાન્સમિશન
59.11
અદાણી ગ્રીન એનર્જી
64.05
અદાણી ટોટલ ગેસ
69.23
અદાણી વિલ્મર
27.71
ACC લિમિટેડ
21.95
અંબુજા સિમેન્ટ
31.32
એનડીટીવી
30.18
કંપનીઓ પર લાદવામાં આવ્યું ASM
નોંધનીય છે કે, અદાણી એન્ટરપ્રાઇઝિસના બોર્ડની મંગળવારે બેઠક મળશે. જેમાં કંપનીની ડિસેમ્બર ક્વાર્ટરની કમાણી અંગે ચર્ચા કરવામાં આવશે. અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન અને અદાણી ટ્રાન્સમિશન જેવા સ્ટોક્સ NSEના એડિશન સર્વેલન્સ મેઝર્સ (ASM) માળખામાં છે જે ડે ટ્રેડિંગ માટે વધારાના માર્જિન પર પ્રતિબંધ મૂકે છે. જ્યારે અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટ્સ ગયા સપ્તાહે ASMમાંથી બહાર નીકળી ગયા હતા.
અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંકા ગાળાના ASM હેઠળ
અદાણી એન્ટરપ્રાઈઝ કહેવાતા ટૂંકા ગાળાના ASM હેઠળ છે, જ્યારે અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન અને અદાણી ટ્રાન્સમિશન ટૂંકા ગાળાથી લાંબા ગાળાના ASMમાં સ્થાનાંતરિત થયા છે. અદાણી એન્ટરપ્રાઇઝ પર ટ્રેડ માર્જિન વધારીને 65.17 ટકા કરવામાં આવ્યું છે, જ્યારે અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસ પર માર્જિન વધારીને 100 ટકા કરવામાં આવ્યું છે.
અદાણી ગ્રુપનો માસ્ટર પ્લાન
હિંડનબર્ગના આરોપો બાદ અદાણી ગ્રુપ સતત ડેમેજ કંટ્રોલ પર કામ કરી રહ્યું છે. તાજેતરના પગલામાં અદાણી જૂથે તેના આવક વૃદ્ધિ લક્ષ્યને ઘટાડવાનો નિર્ણય કર્યો છે. હિંડનબર્ગના આંચકામાંથી બહાર આવવા માટે, અદાણી જૂથ તેના આવક વૃદ્ધિ લક્ષ્યાંકને લગભગ અડધાથી ઘટાડી શકે છે.
ન્યૂઝ એજન્સી અનુસાર અદાણી ગ્રુપ આગામી નાણાકીય વર્ષ માટે રેવન્યુ ટાર્ગેટ 40 ટકાથી ઘટાડીને 15થી 20 ટકા કરી શકે છે. સૂત્રો કહે છે કે, હિંડનબર્ગ વમળમાંથી બહાર નીકળવા માટે આક્રમક વિસ્તરણને બદલે અદાણી જૂથ હવે તેની નાણાકીય તંદુરસ્તીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ અંતર્ગત અદાણી જૂથે એક મોટી યોજના બનાવી છે. ગ્રૂપનું સમગ્ર ધ્યાન હવે દેવું ચૂકવવા, રોકડની બચત અને નવા રોકાણ (મૂડી ખર્ચ)માં ઓછા નાણાં ખર્ચવા પર રહેશે. આ સિવાય અદાણી ગ્રૂપ તેના ગીરવે રાખેલા શેરને રિડીમ કરવા માટે પણ કામ કરી રહ્યું છે.
જૂથને ગીરવે રાખેલા શેર છોડાવશે
એક અહેવાલ મુજબ અદાણી જૂથની ત્રણ કંપનીઓએ તેમના વધારાના શેર્સ બેંકો પાસે ગીરવે મૂક્યા છે, જેને શક્ય તેટલી વહેલી તકે છોડાવવાની કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. અદાણી ગ્રૂપની કંપનીઓ જેમના શેર ગીરવે મુકવામાં આવ્યા છે તેમાં અદાણી પોર્ટ્સ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીનો સમાવેશ થાય છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ત્રણ મહિના માટે નવા રોકાણ પર પ્રતિબંધ લગાવવાથી ગ્રુપ લગભગ 25 હજાર કરોડ રૂપિયા બચાવી શકે છે. અદાણી જૂથ આ નાણાંનો ઉપયોગ તેનું દેવું ચૂકવવા અને રોકડ વધારવા માટે કરી શકે છે. જોકે અદાણી જૂથ તરફથી રેવન્યુ ટાર્ગેટમાં ઘટાડા અને મૂડી ખર્ચને મોકૂફ રાખવા અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.