ધોરણ 12ની વિદ્યાર્થીનીએ બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ઝેરી દવા ખાઇ લીધી. આજે રાજકોટ સિવિલમાં લીધા અંતિમ શ્વાસ
સુરેન્દ્રનગરના ચોટીલાના ખેરાણા ગામનો બનાવ
ધોરણ 12ની વિદ્યાર્થીનીએ મોતને કર્યુ વ્હાલુ
નાપાસ થવાના ડરે કર્યો આપઘાત
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે . પરંતુ કોણ જાણે કેમ શા માટે બોર્ડની પરીક્ષાને લઇને એક ડરનો માહોલ ઉભો કરવામાં આવે છે. બોર્ડની પરીક્ષા એ અન્ય ધોરણોમાં લેવાતી હોય તેવી જ પરીક્ષા છે. પરંતુ વિદ્યાર્થીઓમાં ફેમિલી, ફ્રેન્ડ્સ અને શિક્ષકો દ્વારા ક્યાંકને ક્યાંક બોર્ડની પરીક્ષાને લઇને અજાણતા જ એવુ પ્રેશર આપવામાં આવે છે કે વિદ્યાર્થીઓ પરીક્ષાથી જ ડરી જાય છે અને ન કરવાનું કરી બેસે છે. ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલામાં એક આવો જ બનાવ સામે આવ્યો.ત્યારે દરેક વિદ્યાર્થીઓને એજ સૂચન છે કે બોર્ડની પરીક્ષાએ જિંદગીની પરીક્ષા નથી. આ પરીક્ષાથી તમારુ ભવિષ્ય જરુર નક્કી થાય છે પરંતુ જિંદગી મહામૂલી છે. પરીક્ષામાં નાપાસ થશો તો બીજી વખત પરીક્ષા આપી શકશો પરંતુ જિંદગી પાછી નહિ મળે.
નાપાસ થવાના ડરથી આપઘાત
સુરેન્દ્રનગરના ચોટીલાના ખેરાણા ગામનો બનાવ છે. જ્યાં ધોરણ 12ની વિદ્યાર્થીનીએ નાપાસ થવાના ડરે મોતને વ્હાલુ કરી દીધુ. બોર્ડની પીરક્ષા શરુ થયાના પહેલા જ દિવસે તેણે ઝેરી દવા પી લીધી. ઘટનાને પગલે તેની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ આજે હોસ્પિટલમાં તેણે અંતિમ શ્વાસ લીધા. ઘટનાને લઇને પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ વિદ્યાર્થીનીનું નામ પ્રીતિ હોવાનું સામે આવ્યું છે. તેના પિતા રમેશભાઇ મકવાણા ખેતી કામ કરે છે. ભાઇ બહેનોમાં પ્રિતી મોટી દિકરી હતી. 28 માર્ચે જ્યારે પરીક્ષા શરુ થવાની હતી તે દિવસે સવારે જ પ્રીતિએ ઝેરી દવા પી લીધી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ ગત રાત્રિએ તેણ દમતોડી દીધો. ઘટનાને પગલે હોસ્પિટલના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરાક પોલીસે હોસ્પિટલ પહોંચી જરુરી કાર્યવાહી કરી હતી.
ચાલુ પરીક્ષામાં હાર્ટ એટેક આવ્યો
અમદાવાદમાં બોર્ડની ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીને હાર્ટ અટેક આવ્યો હતો. જેથી સારવાર દરમિયાન વિદ્યાર્થીનુ મોત નિપજ્યુ છે. ધોરણ 12ના વિદ્યાર્થીને હાર્ટ અટેક આવતાં શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનુ મોત થયુ છે. આપને જણાવી દઈયે કે,અમાન શેખ નામના વિદ્યાર્થીનુ બ્લડ પ્રેશર વધી જતાં હાર્ટ અટેક આવ્યો હોવાનુ સામે આવ્યુ છે.
પરીક્ષા આપવા જતા આવ્યો હાર્ટ એટેક
ધોરણ 12ના નવસારીના વિદ્યાર્થીનું પરીક્ષા પહેલા હાર્ટ એટેક આવતા મોત થયું હતું. શહેરની વિદ્યાકુંજ શાળામાં કોમર્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરતા ઉત્સવ નામના વિદ્યાર્થીનું મોત થયુ હતું., તે પરીક્ષા સેન્ટર પર જવા માટેની તૈયારી કરી રહ્યો હતો ત્યારે એટેક આવ્યો હતો અને તે સમયે તેને સારવાર માટે પરિવાર હોસ્પિટલમાં લઈ ગયો હતો. ખાનગી હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને તપાસતા તે મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કર્યું હતું. વ્હાલા ઉત્સવના મોતના અહેવાલ પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.