પૂર્વ MLA અશ્વિનભાઈ કોટવાલના સમર્થનમાં ભાજપમાં પ્રવેશ
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલી છે. તેવામાં કોંગ્રસની સ્થિતી એક સાંધે ત્યા તેર તુટે તેવી છે. જ્યારે ભાજપમાં ભરતી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરોએ કેસરીયો ધારણ કરતા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસનો ગઢ ગણાતી ખેડબ્રહ્મા વિધાનસભાના 125 કોંગી કાર્યકરો ભાજપના રંગે રંગાયા હતા.
125 કોંગી કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો
વિધાનસભાની ચૂંટણી પહેલા સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. ખેડબ્રહ્માના 125 કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા છે. જેમાં પીપળીયા ગામે સ્વામિનારાયણ મંદિરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન પૂર્વ ખેતીવાડી જિલ્લા ચેરમેન, સિંચાઈ ચેરમેન સહીતના આગેવાનોએ પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલના સમર્થનમાં ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે ગત મે માસમાં રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. કમલમ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કોટવાલે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. અશ્વિન કોટવાલ 2500થી વધુ આગેવાનો અને સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા.
ગઈકાલે ખેડબ્રહ્મા નગરપાલિકાના સદસ્યએ આપ્યું હતું રાજીનામુ
મહત્વનું છે કે ગઈકાલે ખેડબ્રહ્મા નગરપાલિકાના સદસ્યએ રાજીનામુ ધરી દીધું હતું. ખેડબ્રહ્મા પાલિકાના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર આશાબેન ભાંભીએ અંગત કારણસર રાજીનામું આપી દીધું હતું. આમ જિલ્લામાં તૂટતી કોંગ્રેસ આજે પણ યથાવત રહેતા આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને આના માઠા પરિણામ ભોગવવા પડે તો નવાઈ નહિ.