કોણ જાણે શું થઇ રહ્યું છે કે 12 વર્ષની કિશોરી અવસ્થામાં પણ બાળકો આપઘાતનો માર્ગ અપનાવી રહ્યા છે. સુરતની આ ચોંકાવનારી ઘટનાએ મચાવી ચકચાર
12વર્ષીય કિશોરીએ મોતને કર્યુ વ્હાલુ
ઘરના રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી
સુરતના જીઆઇડીસી વિસ્તારની ઘટના
આપઘાત જાણે કે જીવનથી ભાગવા માટેનો એક માત્ર ઉપાય હોય તેમ લાગી રહ્યું છે. કોઇ આર્થિક ભીંસમાં તો કોઇ શારીરિક તકલીફોથી કંટાળીને તો કોઇ માનસિક રીતે ત્રસ્ત થઇ જતા મોતને ભેટી લે છે. પરંતુ હાલમાં નવાઇની વાત તો એ છે કે આવુ પગલુ ભરવામાં બાળકો પણ નથી અચકાતા. જી, હા. જો ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન જોઇએ તો વિદ્યાર્થીઓના આપઘાતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે અને હાલામાં પણ દિવસમાં આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
12 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત
વાત છે સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારની. 12 વર્ષીય કિશોરીએ આપઘાત કરતા ચકચાર મચી ગઇ. 12 વર્ષીય કિશોરી ઘરના રૂમમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઇ. પરિવાર એકની એક વ્હાલસોયીને ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં જોઇને દુઃખનો પહાડ તૂટી પડ્યો.રૂમનો દરવાજો બંધ કરીને કિશોરીએ જીવન ટૂંકાવી દીધું. જો કે તેના આપઘાતનું કારણ સામે આવ્યુ નથી. પરંતુ એવુ જાણવા મળ્યુ છે કે દિકરી ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવતી હતી. પરિવાર પણ વિચારી રહ્યો છે કે દિકરીએ આપઘાત કેમ કર્યો.
કિશોરીના આપઘાતનું કારણ અકબંધ
અત્યારની જનરેશન ફેમિલી કરતા મોબાઇલમાં વધારે સમય વિતાવે છે. મોબાઇલ પર અઢળક માહિતી, વીડિયો અને કન્ટેન્ટ એવુ હોય છે કે બાળકોને બીજી દિશામાં ભટકાવી શકે. ત્યારે શું આ કિશોરી સાથે પણ આવુ જ થયુ છે ? કે પછી કોઇ તેને હેરાન કરી રહ્યુ હતું ? 12 વર્ષની ઉંમરમાં આત્મહત્યાનો વિચાર જ ક્યાંથી આવ્યો ? એવી તો કઇ મજબૂરી હતી કે કિશોરીએ મોતને વ્હાલુ કર્યુ ? આ તમામ સવાલોને લઇને પરિવાર પણ ચિંતામાં ગરકાવ થયો છે.