મોરબી: માળીયા મિયાણાના 12 ગામના ખેડૂતો છેલ્લા 13 દિવસથી રવીપાક માટે સિંચાઇના પાણીની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા હતા. અંતે સરકારે ખેડૂતોની માંગની સ્વીકારીને કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડવાથી આજે ખીરઈ સુધી પાણી પહોંચી ગયું હતું. જેથી આજે ખેડૂતોએ જિલ્લા કલેક્ટર અને એસપીના હાથે પારણાં કરીને આંદોલન સમેટી લીધું હતું.
નર્મદા કેનાલ પાસે જ શરૂ કર્યું હતું આંદોલન
માળીયા મિયાણાના છેવાડાના 12 ગામના ખેડૂતોએ રવીપાકના સિંચાઇના પાણીની માંગ સાથે ખાખરેચીની નર્મદા કેનાલ પાસે ઉપવાસની છાવણી નાખીને ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. છેલ્લા 13 દિવસથી ખેડૂતો 24 કલાક પ્રતિક ઉપવાસ આંદોલન ચલાવીને સરકારને ઘૂંટણીયા ટેકવા મજબીર કરી દીધી હતી.
ખેડૂતોએ સતત ગાંધી ચીંધ્યા માર્ગે સત્યાગ્રહ કરી છેલ્લા ચાર પાંચ દિવસથી મોરબી જિલ્લા વહીવટી તંત્ર ખેડૂતોને પાણી પહોંચાડવા યુદ્ધના ધોરણે કામે લાગી ગયું હતું. જો કે ખેડૂતોની મુખ્ય માંગ હતી કે ખીરઈ સુધી પાણી પહોંચે પછી જ આંદોલનનો અંત આવશે. આથી કલેક્ટરના આદેશ મુજબ વિવિધ વિભાગની ટીમોએ મોરબી જિલ્લાની ત્રણેય બ્રાન્ચ કેનાલો પર પાણી ચોરી અટકાવવા કડક કાર્યવાહી હાથ ધરી હતી અને ધીરે ધીરે કેનાલમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો.
જો કે ઉપરથી વધુ માત્રામાં પાણી ન છોડ્યું હોવાથી કોળિયે આવેલો પ્યાલો છીનવાઈ જતો હતો. આ દરમિયાન ઉપરથી વધુ પ્રમાણમાં પાણી છોડતા આજે ખીરઈ સુધી પાણી પહોંચતા ઉપવાસી છાવણીના ખેડૂતોમાં આનંદની લહેર ફેલાઈ હતી. ખીરઈ પાણી પહોંચી જતા ઉપવાસી ખેડૂતોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડાના હસ્તે પારણાં કરીને 13 દિવસથી ચાલતા આંદોલનને સમેટી લીધું હતું.