ઝેરી દારૂ પીવાના કારણે મોતની ઘટનાઓ હવે દેશ માટે નવી નથી. ત્યારે વધુ એક દુઃખદ ઘટનામાં દારૂબંદી હોવા છતાં મળતા ઝેરી દારૂ પીવાના કારણે 12 લોકોના મોત થયા હોવાના સમાચાર આવ્યા છે.
બિહારના નાલંદામાં ઝેરી દારૂ પીવાના કારણે 12 ના મોત
સોહસરાઈ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સસ્પેન્ડ
દારૂ માફિયાઓ વિરુદ્ધ પોલીસનું ઓપરેશન
બિહારના નાલંદામાં કથિત ઝેરી દારૂ પીવાના કારણે મૃતકોની સંખ્યા 12 પર પહોંચી ગઈ છે.
આ સમગ્ર ઘટના નાલંદાના સોહસરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના છોટી પહારી મોહલ્લા અને હરગામા પંચાયતની છે. જેમાં ખરાબ ઝેરીલા દારૂ પીવાના કારણે અત્યાર સુધીમાં 12 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
આજે રવિવારે વધુ બે લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ પછી જ સ્પષ્ટ થશે કે મૃત્યુ પાછળનું સાચું કારણ શું છે.
પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સસ્પેન્ડ
જોકે આ મામલે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ ઘટનાને લઈને સોહસરાઈ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને રવિવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઘટના બાદ નાલંદા જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક શુભાંકર અને નાલંદાના એસપી અશોક મિશ્રા મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ સાથે અહીં પહોંચ્યા હતા. શનિવાર સાંજ સુધીમા છ લોકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
દારૂ માફિયાઓ વિરુદ્ધ પોલીસનું ઓપરેશન
ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ડીએમ અને એસપીએ ઘટના અંગે મૃતકના પરિજનોની પૂછપરછ કરી હતી. જિલ્લા અધિકારી શશાંક શુભંકરે ત્રણ લોકોના મોત અન્ય કારણથી થયા હોવાની માહિતી આપી હતી.. તેમણે કહ્યું હતું કે રિપોર્ટ આવતા જ ખબર પડી જશે કે મોત પાછળનું કારણ શું હતું. જીલ્લાધિકારીએ આ કેસને ગંભીરતાથી લેતા છોટી ફાડી વિસ્તારને ચાર ભાગમાં વહેંચીને દારૂ માફિયાઓ વિરુદ્ધ કોમ્બિંગ ઓપરેશન ચલાવવાની માહિતી આપી હતી. આ ઘટના પાછળ જવાબદાર લોકોને કોઈ સંજોગોમાં માફ નહીં કરવામાં આવે એવું પણ તેમણે કહ્યું હતું.