કચ્છઃ ગાગોદર ગામે 30 રાષ્ટ્રીય પક્ષી મોરના મોત મામલે વનવિભાગે ગાગોદર કેનાલ નજીકથી 12 શખ્સોની ધરપકડ કરી હતી. આજે આરોપીઓને રીમાન્ડ માટે રાપર કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જોકે કોર્ટે રીમાન્ડ મંજુર ન કરતા તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ મામલે આવતીકાલે વનવિભાગ તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે રાપર તાલુકાના ગગોદરા ગામ નજીક સીમમાં 30 રાષ્ટ્રીય પક્ષી મોરના શંકાસ્પદ મોત થવાની ઘટના બની હતી. આ ગામની સીમમાંથી 30 મોરના ભેદી સંજોગોમાં મૃતદેહ મળી આવ્યા હતા. મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે વનવિભાગ વેટરનરી ઓફિસર અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરાઇ હતી.
આજે ગાગોદર આસપાસના 14 ગામોએ પાડ્યું બંધ
કચ્છના રાપરના ગાગોદર પાસે 30 વધુના મોત મામલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. વનવિભાગ દ્વારા યોગ્ય તપાસ ન કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધમાં ગાગોદર પાસેના 14 ગામોએ બંધ પાડ્યું હતું. સાથે જ વિવિધ ગામના આગેવાનોએ ધરણા પણ શરુ કર્યા હતા. જો આ મામલે તપાસ કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા 5 ઓક્ટોબર બાદ રસ્તા રોકો જેવા કાર્યક્રમો કરવાની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી.