ગુજરાતમાં લમ્પી વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે બનાસકાંઠામાં વધુ 12 પશુઓના મોત નીપજ્યા
બનાસકાંઠામાં લમ્પી વાયરસનો કહેર યથાવત્
વધુ 12 પશુઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 63 થયો
વધુ 24 ગામના પશુઓ થયા લમ્પીથી સંક્રમિત
બનાસકાંઠામાં લમ્પી વાયરસે કહેર મચાવ્યો છે.દિવસ જાય તેમ સંક્રમણ વધી રહ્યુ છે તો બીજી તરફ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં વધુ 12 પશુઓના મોત થતા મૃત્યુઆંક 63 થયો. વધુ 24 ગામના પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત થયા છે. પશુઓ લમ્પી વાયરસની ઝપેટમાં આવતા દૂધની આવકમાં ઘટાડો થવા પામ્યો છે. બનાસકાંઠા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા 1 લાખ 25 હજાર 58 પશુઓનું રસીકરણ કરાયુ છે.
રાજ્યમાં લમ્પી વાયરસનો કહેર
ગુજરાતમાં લમ્પી વાયરસના કારણે અબોલ જીવ પર અણધારી આફત આવી ચડી છે. પશુઓના ટપાટપ મોત થતાં સ્થિતિને કાબૂમાં લેવાના પ્રત્યનો અંગે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પ્રેસ યોજી માહિતી આપી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના 20 જિલ્લાના 1935 ગામોમાં લમ્પી વાયરસ દેખાયો છે. આ વાયરસના ભરડામાં અત્યારે સુધી 1431 પશુઓ મોતને ભેટયા છે. ગુજરાતમાં 54161 પશુઓમાં લમ્પી વાયરસે દેખાડો દીધો છે. રાજ્યમાં કુલ 8.17 લાખ પશુઓમાં વેક્સિનેશન થયુ છે જ્યારે સૌથી વધુ કચ્છમાં 37414 પશુઓ વારયસ ગ્રસ્ત થતાં પશુપાલકોમાં હાહાકાર મચ્યો છે.
આણંદમાં લમ્પી વાયરસનો કહેર
આ તરફ આણંદ જિલ્લામાં લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ 30 થી વધુ પશુઓમાં લમ્પી શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. જેમાં બોરસદ, ખંભાત, પેટલાદના 30 પશુઓમાં લમ્પી લક્ષણો દેખાયા છે. જોકે મહત્વની વાત તો એ છે કે, જિલ્લામાં હજી 6 માસ પૂર્વે જ પશુઓનું રસીકરણ કરાયું હતું. આ તરફ હવે બોરસદમાં 10, પેટલાદમાં 11 અને ખંભાતમાં 9 પશુઓ શંકાસ્પદ લક્ષણો જણાતાં તમામ પશુઓના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.
રાજકોટમાં તો પશુઓની હેરફેર અને પશુમેળા પર પ્રતિબંધ લગાવાયો છે
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે. રાજકોટમાં લમ્પીના કારણે અનેક પશુના મૃત્યુ થયા છે, ત્યારે રાજકોટને નિયંત્રિત જાહેર કરી રોગને ફેલાતો અટકાવવા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં અન્ય રાજ્યો અને જિલ્લાઓમાંથી પશુઓની હેરફેર પર પ્રતિબંધ, તથા પશુઓના વેપાર, પશુમેળા અને પશુ પ્રદર્શન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે ચેપી રોગવાળા પશુઓને જાહેરમાં ખુલ્લા મુકવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના આ જાહેરનામાનો 21 ઓગસ્ટ સુધી અમલ કરવાનો રહેશે.
જાણો લમ્પી વાયરસ શું છે?
લમ્પી વાયરસમાં પશુઓમાં જોવા મળે છે.
લમ્પી સ્કીન ડિસીઝ વાયરસ જન્ય રોગ છે.
મચ્છર,માખી ઇતરડી કે રોગિષ્ઠ પશુ સાથેના સીધા સંપર્કથી ફેલાવો થાય છે.
દુષિત ખોરાક કે પાણીથી પણ ફેલાય છે લમ્પી વાયરસ.
વાયરસ દાખલ થયાના એક અઠવાડિયાની અંદર રોગના ચિન્હો જોવા મળે છે.
પશુને તાવ આવે, પશુ ખાવાનું ઓછું કરે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે.
ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે.
પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર અસર થાય છે.
રોગચાળો ફેલાવવાનો દર માત્ર 10થી 20 ટકા છે.
પશુઓનો મૃત્યુ દર ખૂબ જ ઓછો 1થી 2 ટકા છે.
આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.
લમ્પી વાયરસથી પશુઓને બચાવવા શું કરવું જોઇએ?
બીમાર પશુઓને સ્વસ્થ પશુઓથી તાત્કાલિક અલગ કરવા જોઇએ.
પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જોઇએ.
પશુઓના રહેઠાણને માખી,મચ્છર અને ઇતરડીનો ઉપદ્રવ અટકાવવો જોઇએ.
લમ્પી રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું.
પશુપાલકે ટોલ ફ્રી નંબર 1962 પર સંપર્ક કરવો જોઇએ.
રોગગ્રસ્ત વિસ્તારથી પશુઓનું સ્થળાંતર બંધ કરવું.
પશુઓના ખોરાક,પાણી અને માવજત અલગથી કરવી.
પશુઓ રોગપ્રતિકારક શક્તિને લીધે 2થી 3 અઠવાડિયા સુધીમાં સ્વસ્થ થાય છે.