પંજાબમાં પોતાના બે મોટા નેતાઓ અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુની સામ સામેની લડાઇથી કોંગ્રેસ મુશ્કેલીમાં છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીને તેલંગાણામાં મોટો ઝટકો લાગ્યો છે. જ્યાં પાર્ટીના 18માંથી 12 ધારાસભ્યોએ સત્તારૂઢ ટીઆરએસમાં સામેલ થવાની તૈયારી કરી લીધી છે.
આ 12 ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકરને પાર્ટી બદલવાની જાણકારી આપી છે. કોંગ્રેસના બે તૃતિયાંશ ધારાસભ્યોના પાર્ટી બદલાવા પર તેમનું સભ્ય પદ નહીં જાય. કેમકે બે તૃતિયાંશ સભ્યના પાર્ટી બદલવાની સ્થિતિમાં પાર્ટી વિરોધી કાનૂન લાગૂ થતો નથી.
આપને જણાવીએ કે, વિધાનસભા ચૂંટણીમાં ટીઆરએસ (TRS)માંથી 88 બેઠક જીતી બહુમતથી સરકાર બનાવી છે. જ્યારે કોંગ્રેસે માત્ર 18 બેઠક પર જીત હાંસલ કરી હતી. ચૂંટણી બાદ કોંગ્રેસની સ્થિતિ વધારે ખરાબ જોવા મળી રહી છે. કોંગ્રેસના ઘણા ધારાસભ્યો હજુ પણ રાજ્યમાં પાર્ટીના નેતૃત્વથી નારાજ છે અને જલ્દી જ ઘણા ધારાસભ્યો ટીઆરએસમાં સામેલ થવાની સંભાવના દર્શાવાઇ રહી છે.
કોંગ્રેસે કહ્યું- વિધાનસભા અધ્યક્ષ ગાયબ છે
કોંગ્રેસના 12 ધારાસભ્યોના TRS માં જવાના સમાચાર પર તેલંગાણા કોંગ્રેસ પ્રમુખ એન. ઉત્તર કુમાર રેડ્ડીએ કહ્યું કે, 'અમે તેના વિરુદ્ધ લોકશાહી ઢબે લડીશું. અમે સવારથી જ વિધાનસબા અધ્યક્ષના સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ પરંતુ તે ગાયબ છે.'
કોંગ્રેસના 18માંથી 12 ધારાસભ્યોએ સ્પીકરને અરજી લખીને ટીઆરએસમાં વિલયની માંગ કરી છે. તેમા ટીઆરએસમાંથી જ કોંગ્રેસમાં સામેલ થયેલા ધારાસભ્ય રોહિત રેડ્ડી પણ સામેલ છે. રોહિત રેડ્ડી જલ્દી જ પાર્ટીથી રાજીનામુ આપી ટીઆરએસમાં સામેલ થઇ શકે છે. ટીઆરએસથી સસ્પેન્ડ થયા બાદ રેડ્ડી કોંગ્રેસમાં સામેલ થયા હતા.