સુરતઃ મહિલા સુરક્ષાના કડક કાયદા બાદ પણ જ મહિલા અને બાળકોની ખરીદી કેમ થઈ રહી છે? એવી તે કઈ નબળી કડી છે કે જેના પર નથી કાયદાના રખેવાળોનું ધ્યાન કે નથી સ્ત્રી સશક્તિકરણની વાત કરનારા સમાજનું ધ્યાન? સુરતની પાંડેસરાની ઘટનાએ માત્ર બાળકી પરના અત્યાચારની ઘટનાને જ નથી ઉજાગરી. આ ઘટનાએ સમાજમાં ઉછરતા સ્ત્રી અને બાળકોના નરાધમ વેપારીઓને પણ ખુલ્લાં પાડયા છે. અને સમાજની સ્ત્રી સન્માનની મુહિમ સામે પડકાર પણ ફેંક્યો છે.
છેલ્લાં એક અઠવાડિયાથી પોલીસને અને રાજ્યના નાગરિકોને એક સવાલ સતાવી રહ્યો હતો. સુરતના પાંડેસરમાં મળેલી મૃત બાળકી કોણ હશે? અને ક્યા નરાધમે તેને શિકાર બનાવી હશે? પોલીસ પણ આરોપીને પકડવા આકાશ-પાતાળ એક કરી રહી હતી. ત્યારે માંડ પકડાયેલા નરાધમ આરોપી હર્ષસાંઈ ગુર્જરની ગઈકાલે સુરતમાં ધરપકડ બાદ આજે અમદાવાદ લાવવવામાં આવ્યો હતો. સુરત રેપ કેસમાં આરોપી હર્ષ સાંઈ ગૂર્જરે કબૂલ્યું તે તેણે બાળકી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને તેની હત્યા કરી નાખી હતી.
આ ઘટનાની વિગત જાણીને તમારું હૃદય પણ હચમચી ઊઠશે. સ્ત્રી અને બાળકો જાણે ખરીદીની ચીજ વસ્તુ હોય તેમ તેમને આ નરાધમો વેચાણ અને ખરીદી કરી રહ્યા છે. અંતે હવસ સંતોષાતા મોતને ઘાટ ઉતારે છે. સુરતની ઘટનમાં પણ આવું જ બન્યું હતું. આરોપી હર્ષ ગૂર્જરે તેના ભાઈ હરિઓમ ગૂર્જર પાસેથી આ બાળકી અને તેની માતાની રૂ.35 હજારમાં રાજસ્થાનથી ખરીદી કરી હતી. ત્યાર બાદ હર્ષ ગૂર્જર તેને સુરત લાવ્યો હતો. તેને અહીંયા કામે લગાડી હતી. જોકે બાળકીની માતા સાથે ઝગડો થતાં તેની હત્યા કરી નાંખી હતી. પરંતુ ત્યાર બાદ બાળકીને સાચવી નહીં શકાતાં તેની પણ હત્યા કરવાનું મનમાં વિચારી રાખ્યું પરંતુ આ હત્યારો બાળકીને એમ મારી નાખવા માગતો ન હતો. તેણે બાળકીની હત્યા કર્યા પહેલા વારંવાર બળાત્કાર ગુજાર્યો અને કેટલાય દિલસ સુધી તેને ભૂખી પણ રાખી. અંતે મોકો મળતાં નડતરરૂપ આ બાળકીનું પણ ગળું દબાવીને મારી નાંખી. એટલું જ નહીં તે બાળકીની લાશ ફેંકીને 10 દિવસ સુધી સુરતમાં રહ્યો. અને પોલીસ તેને હવામાં શોધતી રહી.
આ સમગ્ર મામલે વધુ એક આરોપીની સંડોવણી સામે આવી છે. જેનુ નામ હરિઓમ ગુર્જર છે. હરિઓમ નામની વ્યક્તિ આ બંને ગુનામાં તેની સાથે સામેલ હોવાની તેણે કબૂલાત કરી છે. હરિઓમ નામનો આરોપી હજુ પણ ફરાર છે. માતાની હત્યા અને બાળકી સાથે દુષ્કર્મમાં બંને કામમાં હરિઓમની મદદગારી હર્ષસાંઈને હતી. જોકે અત્યાર સુધી મૃતક બાળકીના પિતા અને અને મહિલાના પતિ કોણ અને ક્યાં છે. એ કોયડો વણ ઉકેલાયેલો છે. જો કે પોલીસ તપાસમાં રેલવે ટિકિટ પણ મુખ્ય પુરાવો બની રહેશે તેવું પોલીસનું માનવું છે.
ઘટના ઘટે છે પોલીસ તત્પૂરતી સતર્ક થાય છે અંતે આરોપી ઝડપાય છે. પરંતુ સવાલ એ છે કે સમાજમાં આવા અપરાધીઓને પોલીસનો ડર કેમ નથી રહ્યો કે સમાજની શરમ કેમ નથી રહી. કડક કાયદા ઘડાયા બાદ પણ આવી ઘટના અટકશે કે કેમ તે ભાવિના આકાશમાં ગૂંજતો સવાલ છે.