દાબેલી, વડાપાઉં ખાનારા શોખીનો ચેતી જજો, તમે જે મોજથી આરોગો છો તે હેલ્થ વિભાગના ટેસ્ટિંગમાં છે ફેઇલ
AMC દ્વારા લેવામાં આવેલા ખોરાકના નમૂનાનું પરિણામ
બે મહિના અગાઉ લેવાયેલા 280 નમુનામાંથી 11 નમુના ફેઈલ
પુરોહિત સેન્ડવિચ, કર્ણાવતી દાબેલી સહિતના લેવામાં આવ્યા હતા નમૂના
અમદાવાદમાં ખાણીપીણીના અનેક સ્ટોલ આવેલા છે. પાછા અમદાવાદીઓ ચટાકેદાર ખાવાના શોખીન. એક રસ્તો એવો નહી હોય કે જ્યાં ખાણીપીણીની લારી ન ઉભી હોય. ઘરે નહી ખાતા હોય એટલુ તો બહારના નાસ્તા પાણી કરવામાં માહિર છે અમદાવાદીઓ. પરંતુ શું તમને ખબર છે કે તમે જે વડાપાઉં, દાબેલી જેવા નાસ્તા આરોગો છો તે કેટલા અખાદ્ય અને જોખમી છે ? અમદાવાદ હેલ્થ વિભાગે આ મામલે બે મહિના પહેલા ચકાસણી કરી હતી તેનું હાલમાં ચોંકાવનારુ પરિણામ આવ્યુ છે.
11 ખાણીપીણીના નમૂના ફેઇલ
અમદાવાદમાં નફાની લ્હાયમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા લોકોની કમી નથી. ઠેર ઠેર ખૂલી ગયેલા ખાણીપીણીના બજારો તેનો પુરાવો છે. ત્યારે અમદાવાદના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા 280 ખાદ્ય સામ્રગીના નમૂનામાંથી 11 નમૂના ફેઈલ ગયા હોવાનું સામે આવ્યું છે. જેમાં બેકરી પ્રોડક્ટ,ફરસાણ, નમકીન,દૂધની બનાવટનો સમાવેશ થાય છે. જો કે હજી 80 નમૂનાઓનું પરિણામ આવવાનું બાકી છે.
2 મહિના બાદ સેમ્પલનું પરિણામ ?
એએમસીના હેલ્થ વિભાગ દ્વારા બે મહિના અગાઉ વિવિધ ખાદ્ય એકમોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. સોસ, બટર, વેજીટેબલ ફેટ સહિત અનેક નામાંકિત ફાસ્ટફૂડ શોપ જેવી કે જયભવાની, પુરોહિત સેન્ડવિચ, કર્ણાવતી દાબેલી, હાંડી મસાલા સહિતના અનેક એકમોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા જેમાઁથી 11 નમૂના ફેઇલ ગયા હોવાનું સામે આવ્યુ છે. એટલે આ પરથી તમે જ અંદાજો લગાવી દેજો કે તમે દાબેલી, વડાપાંઉ કે બહારનું ખાવાની ટેવ હોય તો આજથી જ બંધ કરી દેજો.
સળગતા સવાલ
ત્યારે અહીં સવાલ એ થાય કે બે મહિના પહેલા લીધેલા સેમ્પલનું છેક પરિણામ હવે કેમ ? બે મહિના સુધી નિરાંતે ખાધા પછી હવે તમે કહો કે આ તો અખાદ્ય છે, આવું કેમ ? આરોગ્ય વિભાગ હંમેશા તહેવાર ટાણે જ કેમ સક્રિય થાય છે ? સેમ્પલનું ચેકીંગ કરવામાં આટલુ બધું મોડું કેમ ? આવી તો અનેક ખાણીપીણીની દુકાનો ધમધમે છે માત્ર તહેવાર ટાણે કામગીરી કરીને ક્યાં સુધી સંતોષ માનશો ?
શા માટે હેલ્થ વિભાગ તહેવાર ટાણે જ કુભકર્ણ નિદ્રામાંથી જાગે છે ?
સામાન્ય દિવસોમાં નાગરિકોના આરોગ્યની કોણ ચિંતા કરશે ?
હેલ્થ વિભાગની બેદરકારીનો નાગરિકો કેમ ભોગ બને છે ?
શહેરીજનોના આરોગ્યને લઇને તંત્ર કેમ ગંભીર નથી ?
ખાદ્ય સામ્રગી આરોગ્યા બાદનો રિપોર્ટ શું કામનો ?
શું ખાદ્ય સામ્રગી તૈયાર થાય તે પહેલા રિપોર્ટ ના થઇ શકે ?
શું નાગરિક ખાદ્ય સામ્રગી આરોગે તે પહેલા સેમ્પલ ના થઇ શકે ?
શું ખાદ્ય સામ્રગી આરોગતા પહેલા તેની સુરક્ષાની ખાતરી જાણવાનો નાગિરકોને હક નથી ?
ખાદ્ય સામ્રગી આરોગ્યા બાદ સેમ્પલ ફેઇલ આવે તો નાગરિકોના આરોગ્યનું શું ?
વાસી ખાદ્ય સામ્રગી આરોગ્યા બાદ નાગરિક બિમાર પડે તો તેના માટે કોણ જવાબદાર ?
શું આવી વાસી ખાદ્ય સામ્રગી આરોગ્યા બાદ નાગરિક બીમાર પડે તો તેને વળતર મળશે ?
નાગરિકોને શુદ્ધ,પોષ્ટિક ખાદ્ય સામ્રગી મળી રહે તેની વ્યવસ્થા કોણ કરશે ?
ખાદ્ય સામ્રગીના સેમ્પલ ફેઇલ થાય તો કોઇ નોંધનીય કાર્યવાહી કેમ નહીં ?
કોઇ એકમના વારંવાર સેમ્પલ ફેઇલ આવે તો પણ તે એકમ પર કેમ કડક કાર્યવાહી નહીં ?
વારંવાર સેમ્પલ ફેઇલ આવતા હોય તેવા એકમને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો હક કોને આપ્યો?