ઝાંસીમાં માનતા પૂરી થતાં શુક્રવારે બપોરે જવારા વિસર્જન માટે આવી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેકટર ટ્રોલી પાણીમાં ખાબકતા દુર્ઘટના સર્જાઈ હતી. આ ટ્રેકટર ટ્રોલી ચિરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત છિરૌના પાસે ભેંસ સામે આવતા ટ્રેકટર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને ટ્રેકટર ટ્રોલી ખાડામાં ભરેલા પાણીમાં પલટી મારી હતી.
છિરૌના પાસે ભેંસ સામે આવતા ટ્રેકટર ચાલકે કાબુ ગુમાવ્યો હતો
દુર્ઘટનામાં એક જ પરિવારના 11 લોકોના મોત, 6 લોકો ઘાયલ
એક જ પરિવારના 11 લોકોના મોત
આ દુર્ઘટનામાં પાણીમાં ડૂબવાથી અને ટ્રોલીની નીચે દબાઈ જવાથી એક જ પરિવારના 11 લોકોના મોત થયા હતા. જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં સાત મહિલાઓ અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. મધ્ય પ્રદેશના દતિયા સ્થિત પંડોખરમાં રહેતા એક વ્યક્તિના બે પુત્રના ઘરે બાળકોનો જન્મ થયો હતો. જેના માટે ચિરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છિરૌનામાં એક જગ્યાએ માનતા માંગવામાં આવી હતી. દોઢ વર્ષ પહેલાં પહેલા પુત્રના ત્યાં દીકરાનો જન્મ થયો હતો. જ્યારે બીજા પુત્રના ઘરે દીકરીનો જન્મ થયો હતો. માનતા પૂર્ણ થતાં નવરાત્રિમાં જવારા વાવ્યા હતા. ગુરૂવારે ઘરના દરેક લોકોએ ઉપવાસ કર્યો હતો. શુક્રવારે પરિવારના 32 લોકો જવારા વિસર્જન માટે બે ટ્રેકટર ભરીને છિરૌના આવી રહ્યા હતા.
શ્રદ્ધાળુઓએ પાડી હતી બૂમો
અંદાજે દોઢ વાગ્યે છીરૌનાથી બે કિલોમીટર પહેલાં અચાનક રસ્તામાં એક ભેંસ આવી. જેને જોઈને ટ્રેકટર ચાલકે ટ્રેકટર પર કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે ઝડપભેર ચાલતી ટ્રેકટર ટ્રોલી પલટી મારતા ખાડામાં ભરેલા પાણીમાં ખાબકી હતી. દુર્ઘટના ઘટતા તેમાં રહેલા શ્રદ્ધાળુઓએ બૂમો પાડી હતી. સ્થાનિક લોકો એકત્રિત થયા હતા. ગમે તે રીતે પાણીમાં ખાબકેલી ટ્રેકટર ટ્રોલીને બહાર કાઢવામાં આવી.